કાળ@ઊંઝા: ફેરી કરવા જતાં વિજળી ત્રાટકી, 2 વ્યક્તિનાં કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા
ઊંઝામાં વરસાદી માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે તાલુકામાં ગમે ઉજવણીના પ્રસંગે ગામમાં રમકડાં વેચવા આવેલા ત્રણ ફેરિયા પર વીજળી પડતાં બે લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. આ સાથે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને લઈને ગામમાં ઉજવણીનો માહોલ શોકમાં ફેરવાયો હતો. ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉપેરા ગામે વીજળી પડતાં બે લોકોના મોત થયા છે. ગામમાં આજે શનિવારે ફુલેશ્વરી માતાજીની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન રમકડાં વેચવા આવેલા ત્રણ ફેરિયા ઉપર અચાનક વિજળી પડી હતી. જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સાંજે ચાર વાગ્યાના આસપાસ બનેલી ઘટનાને લઈને ગ્રામજનો દોડી આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા ત્રણ લોકો પર વીજળી પડતાં બે લોકો મોતને ભેટ્યા હતા. વિગતો મુજબ નોરતા ગામના17 વર્ષીય સુનિલ કુમાર દીપસિંહ ઠાકોર અને સિદ્ધપુરના જય અંબે ચોકમાં રહેતા 40 વર્ષીય જીતુભાઇ પ્રેમભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ તરફ ઊંઝાના ચતુરપુરાના રાહુલ સરતાનજી ઈજાગ્રસ્ત બન્યો હતો. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.