દુર્ઘટના@મોરબી: શાકભાજી લઈને પરત ફરતા બાળકને મોટરસાયકલે હડફેટે લેતા અકસ્માતમાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાનો બનાવ સામે આવતોજ હોય છે. લાખો લોકો અકસ્માતમાં મોતને ભેટે છે. મોરબીના જૂના ઘુટુ રોડ પર શાકભાજી લઈને પરત ફરતા બાળકને મોટરસાયકલે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના જુના ઘૂટું રોડ પર સોફાઈ ગોડાઉનની ઓરડીમાં રહેતા કરશનભાઇ કાળુભાઇ ડફેરે આરોપી મોટરસાયકલ ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા-૦૪ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાની આસપાસ તેમનો મોટો દીકરો અને નાનો દીકરો ૯ વર્ષીય મનીષ બન્ને શાકભાજી લેવા માટે સીમ્પોલો સીરામીકની સામે મેઘા સીરામીકના કારખાના તરફ જતા રસ્તા ઉપર રોડના ખુણા ઉપર આવેલ શાકભાજીના થડા પાસે ગયા હતા.
અને શાકભાજી ખરીદીને પરત આવતા હતા ત્યારે ઘુટુ તરફથી ત્રાજપર તરફ જતા મોટરસાયકલ જી-જે-૩૬-એ-જી-૦૭૭૮ના ચાલકે મનીષને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને પગલે મનીષને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે મનીષને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તારીખ ૦૭ ના રોજ મનીષનું મોત નીપજ્યું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.