દુર્ઘટના@અમદાવાદ: ટાઇટેનિયમ સ્ક્વેર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ ભભૂકી

ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 28 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
 
દુર્ઘટના@અમદાવાદ: ટાઇટેનિયમ સ્ક્વેર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ ભભૂકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગયા છે. અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. C બ્લોકમાં આવેલા નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી.

ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 28 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. ત્રણ માળમાં આવેલી 12થી વધારે ઓફિસો આગમાં ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

ડિવિઝનલ ચીફ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા અને ઇનાયતસિંહે જણાવ્યું હતું કે, એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે ટાઇટેનિયમ સ્ક્વેર નામની બિલ્ડિંગના નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડને 4.23ની આસપાસ કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની પ્રહલાદનગર અને થલતેજ ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ જ્યારે પહોંચી ત્યારે આગ ખૂબ ફેલાઈ ગઈ હતી. આગ 10માં માળેથી 9 અને 11માં માળ સુધી પહોંચી ગઈ હતી. ભીષણ આગ લાગી હોવાના કારણે વધારે ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી ચાંદખેડા, સાબરમતી, મણિનગર સહિતના ફાયર સ્ટેશનની કુલ 28 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરના જવાનોએ વિવિધ સાધનોની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા. કોમર્શિયલ બિલ્ડિંગના ત્રણ માળમાં સંપૂર્ણપણે આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ સાધનોનો ઉપયોગ કરી અને ઓફિસોના દરવાજા તોડીને આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટિંગ કરવાની ફરજ પડી હતી. ત્રણ કલાક જેવી ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. 9, 10 અને 11મા માળે આવેલી તમામ ઓફિસો આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગઈ છે. વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી, જેથી ઓફિસમાં કોઈ હાજર હતું નહીં, જેને લઈને મોટી જાનહાનિ ટળી છે.