દુર્ઘટના@અમદાવાદ: બસ રિપેર કરતા 2 ફોરમેનના મોત નીપજ્યા, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી AMTSની બસ રિપેર કરી રહેલા 2 ફોરમેન 2 બસ વચ્ચે ચગદાઈ જતા મોત નિપજ્યા છે. બ્રિજ પર જ્યારે બંને બસ વચ્ચે ફોરમેન કામ કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી એક આઈસરે ટક્કર મારતા બંનેના મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે AMTS અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ઘોડાસરમાં આવેલા કેડીલા બ્રિજ પર બ્રેકડાઉન થયેલી બસને લઈ જવા માટે આવેલા AMTSના બે ફોરમેનના મોત નિપજ્યા હતા. એક બસ બ્રેકડાઉન થઈ હોય AMTSના ફોરમેન ટોઈંગ કરવા આવ્યા હતા. ત્યારે બ્રિજ પર ટોઈંગનો વાયર તૂટી જતા બંને ફોરમેન રિપેર કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલા આઈસરે એક બસને ટક્કર મારી હતી. જેના કારણે બંને બસોની વચ્ચે કામ કરી રહેલા બંને ફોરમેનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.ઘટનાના પગલે ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પહોંચ્યો હતો.
AMTSના ટ્રાફિક વિભાગના ડાયરેક્ટર જનકભાઈ રાવલે જણાવ્યું હતું કે ઘોડાસર ઓવર બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં બે ફોરમેનના મૃત્યુ નીપજયા છે. બંને ફોરમેન AMTSના કર્મચારી નહિ પરંતુ આદિનાથ બલ્ક કેરિયર નામના ખાનગી બસ ઓપરેટરના કર્મચારી હતા. આ મામલે હાલ AMTS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતા બ્રિજ ઉપર લાંબો ટ્રાફિકજામ થતા એક તરફનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને બીજી તરફ ટ્રાફિકના અધિકારી ત્યાં પહોંચી ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે એએમટીએસની બસ અચાનક બગડી જતા એને રીપેર કરવા માટે પ્રયાસ કરાયો હતો. પરંતુ તે ત્યાં રીપેર ના થતા તેને ટોઈંગ કરીને લઈ જવા માટે બીજી બસને સાથે કનેક્ટ કરવામાં આવી રહી હતી. આ માટે બે કર્મચારીઓને તે કામ કરવા માટે ત્યાં બોલાવવામાં આવ્યા હતા. બંને બસને જોડવા માટે વચ્ચેની તરફ બે કારીગરો 1. હૃદય આનંદ રામ લક્ષ્મણ યાદવ 2. રોનક દિનેશભાઈ શ્રીમાળી કામ કરી રહ્યા હતા.
તે સમયે તેમની પાછળની તરફની બસને એક ટ્રકે જોરદાર ટક્કર મારતા તેઓ બંને જે બસનું કામ કરી રહ્યા હતા તે બંને બસ એકબીજા વચ્ચે ભટકાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વચ્ચે કામ કરી રહેલા બંને ફોરમેન ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.આ સમગ્ર મામલે ટ્રાફિક વિભાગના ડીસીપી સફીન હસન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે ફરિયાદ નોંધવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે.