દુર્ઘટના@અમદાવાદ: એસટી બસમાં અચાનક આગ લાગતા મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી લેવાયા

ફાયરબ્રિગેડની ગાડી દોડી આવી
 
દુર્ઘટના@અમદાવાદ: એસટી બસમાં અચાનક આગ લાગતા મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી લેવાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આગની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.  અમદાવાદના સરખેજ વિસ્તારમાં આજે બપોરે એકાએક એસટી બસમાં આગ લાગી હતી. જેના પગલે બસમાં મુસાફરી કરનારા તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ જતા ખોખુ બની ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તેમજ અન્ય વાહનચાલકો પણ ભયમાં મૂકાયા હતા.

મળતી માહિતી મુજબ અમદાવાદથી ધોળકા જતી ગુજરાત એસટી બસમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. સરખેજ સર્કલ પાસે ભરચક વિસ્તારમાંથી આ બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન જ એન્જિનમાંથી ધૂમાડો નીકળતા જોઈ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતા.

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
અચાનક જ બસ ભડભડ સળગી ઉઠી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઉનાળાની ગરમીમાં વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ વધારે બનતા હોય છે ત્યારે બસમાં લાગેલી આગ શોર્ટ સર્કિટ અથવા એન્જિનનો ભાગ ગરમ થયો હોવાથી લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળે છે.