દુર્ઘટના@અમદાવાદ: ટ્રકચાલકે અડફેટે લેતા પતી-પત્નિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. મંદિરે દર્શન કરવા ગયેલા પટેલ દંપતીને ટ્રકે અડફેટે લઈ 100 ફૂટ ઢસડ્યા હતાં. આ અકસ્માતમાં પતી-પત્નિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. SP રિંગ રોડ પર થયેલા અકસ્માતમાં બે નિર્દોષનાં મોત થતાં તેમના પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો છે. કચડાયેલાં માનવ અંગોને સ્થળ પરથી ખસેડવામાં આવી રહ્યાં છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ડ્રાઈવરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદના SP રિંગ રોડના પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી પસાર થતાં સમયે કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ ઉં.વ. 60ને ટ્રકે અડફેટે લીધા હતાં. મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરતા સમયે દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરનાં ચીથરાં ઊડી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને I ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રક સ્થળે મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો.
બનાવ સ્થળે પહોંચેલી પોલીસે બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એસપી રિંગ રોડ પર બનેલા આ બનાવ બાદ ટ્રાફિકજામ થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા તમામ પ્રક્રિયા હાથ ધરીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.