દુર્ઘટના@સુરેન્દ્રનગર: એમ્યુલન્સ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા

એમ્બ્યુલન્સ દર્દીને લઇ રાજકોટ જઇ રહી હતી
 
દુર્ઘટના@સુરેન્દ્રનગર: એમ્યુલન્સ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં  3 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાઓ દિવસે-દિવસે ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર એમ્યુલન્સ અને ટ્રક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમનાં બેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઇવરના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં


મળતી માહિતી મુજબ ગત રાત્રે સાડા દસ વાગ્યા આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતાં કાજલબેન હરેશભાઈ મકવાણા (ઉ. વ. આશરે 35) ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યાં હતાં. ત્યારે તેમનાં રાજકોટમાં રહેતાં બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યાં હતાં. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું.


આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવામાં આવી રહ્યા હતા. જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા(ઉ. વ. આશરે 35 રહે. રાજપરા) અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા (ઉ. વ. 18 રહે. રાજપરા) અને તેમનાં મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યાં હતાં.


આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક સાઈડનો કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકોએ 108ને જાણ કરતાં 108ની મદદથી બધા દર્દીઓને ચોટીલા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે ગીતાબેન જયેશભાઈ મિયાત્રાને મૃત જાહેર કર્યાં હતાં. તેમજ પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવાભાઈ બાવળિયા (ઉ. વ. આશરે 40 રહે. ચોટીલા)ને 108 મારફતે રાજકોટ રિફર કરાયા હતા. જે બંને રાજકોટ પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યાં હતાં.