દુર્ઘટના@ગુજરાત: 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો, 2નાં મોત

બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી.
 
 દુર્ઘટના@ગુજરાત: 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો, 2નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. અમદાવાદના બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ, ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા બાવળા, બગોદરા અને કોઠ પોલીસ સ્થળે પહોંચી હતી. ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે. વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનામાં 2 ટ્રકના 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ, બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. આ તરફ હવે સામે આવ્યું છે કે, કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. નોંધનીય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે, જ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે.