રિપોર્ટ@રાજકોટ: અગ્નિકાંડને નકલીકાંડ કરનારા 2 અધિકારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં બનેલી ઘટનાઓ લોકોના હૃદય કંપાવી ઉઠ્યા હતા. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગઈકાલે (15 જૂન) જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મનપા ટાઉન પ્લાનિંગ શાખાના ATP (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર) રાજેશ મકવાણા તેમજ જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. બંને દ્વારા ગેમ ઝોન દુર્ઘટના બાદ બચવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બંનેએ TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવ્યું હોવાનું સામે આવતા ટીમ પુરાવાઓ એકત્ર કરી તપાસ કરી રહી છે. જે અંતર્ગત આજે (16 જૂન) બંનેને ક્રાઇમ બ્રાન્ચથી કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અદાલત સમક્ષ બંનેના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જાણવા મળતી વિગત મુજબ, શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગ્નિકાંડ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન આરોપીઓએ અગ્નિકાંડના બીજા દિવસે પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના વધુ બે આરોપીઓની સંડોવણી ખુલી હતી. પોલીસ તપાસમાં રાજેશ મકવાણાની વોર્ડ નંબર 10માં જવાબદારી નહીં હોવા છતાં ગુનાના કામે સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ATP રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરીની ગઈકાલે ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમજ આજે બંનેને 7 દિવસના રિમાન્ડની માગ સાથે એ. એસ. ખંડેલવાલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અદાલત સમક્ષ એડિશનલ સ્પે. પીપી નિતેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ વિભાગના આ બંને સહિત તમામ અધિકારી જાણતા હતા કે ગેરકાયદેસર બાંધકામ કાયદેસર થઈ શકે તેમ નથી. કારણ કે, GPMC-260(2)ની નોટિસ બાદ ગેર કાયદેસર બાંધકામને કાયદેસર કરી શકાતું નથી. આ ડિમોલેશનની નોટિસ બાદ બાંધકામને કાયદેસર કરવા માટે રેગ્યુલરાઈઝની અરજી પણ કરી શકાતી નથી. જો અરજદારને વાંધો હોય તો વહીવટી તંત્રની નોટિસ સામે સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે છે. જેને લઈને આ અગ્નિકાંડ સર્જાયા બાદ ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે સંકળાયેલા એમ. ડી. સાગઠિયા સહિતનાએ ઇમ્પેક્ટને લગતા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા.
અગ્નિકાંડ બાદ ATP રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરી દ્વારા ખોટું રજીસ્ટર તૈયાર કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ કામગીરીમાં તેમની સાથે અન્ય કોની સંડોવણી છે? તેમજ કોના કહેવાથી બંનેએ આ કામ કર્યું હતું? તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તેઓની સઘન પૂછતાછ કરવામાં આવનાર છે. આ માટે આરોપીઓનાં રિમાન્ડ મેળવવા પણ જરૂરી હોવાથી બંનેનાં 7 દિવસનાં રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, અદાલતે 5 દિવસ એટલે કે આગામી 21 તારીખ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા સામે વધુ એક પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અગ્નિકાંડ ત્રીજા દિવસે એટલે કે, 27.5.2024ના રોજ સાગઠિયાએ ગર્ભીત ધમકી સાથે કડક સૂચના આપી પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા મિનિટ્સ બુકની ખોટી માહિતી દર્શાવી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇપીસી કલમ 465, 466, 471, 474 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ રાજકોટ મનપાના ચાર અધિકારીઓ સહિત કુલ 9 આરોપીઓ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે. જ્યારે જમીન માલિક આરોપી અશોકસિંહ જાડેજા રિમાન્ડ પર છે. ત્યારે પોલીસે વધુ બે અધિકારીની ધરપકડ કરી આ દુર્ઘટનાનાં મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.