અપડેટ@રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ પર શિક્ષણવિભાગે કડક કાર્યવાહી કરતા પદ પરથી હટાવ્યા

અનેક ફરિયાદો મળ્યા બાદ શિક્ષણવિભાગે કરી

 
 અપડેટ@રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ પર  શિક્ષણવિભાગે કડક કાર્યવાહી કરતા પદ પરથી હટાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના શિક્ષણ વિભાગ દ્રારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ગિરીશ ભીમાણીને હટાવીને તેના સ્થાને ડૉ નિલાંબરી દવેની નિમણૂક કરી છે.શિક્ષણ વિભાગ દ્રારા આ અંગે સત્તાવાર પત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી ગિરીશ ભીમાણીને હટાવી દેવામાં આવ્યા છે અને ડૉ નિલંબરી દવેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અચાનક જ ગિરીશ ભીમાણીને હટાવી દેવામાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.

કેટલાક લોકો આ નિમણૂકને યુનિવર્સિટી કોમન એક્ટની કાર્યવાહી માની રહ્યા છે તો કેટલાક લોકો વિવાદોને કારણે ગિરીશ ભિમાણીને હટાવાયા હોવાની વાત કહી રહ્યા છે.જો કે હાલમાં ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી દુર કરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે.જો કે ગિરીશ ભીમાણીએ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ચાર્જ લીધો ત્યારથી વિવાદનો પર્યાય બન્યા છે.

શિક્ષણ વિભાગ દ્રારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડૉ નિલંબરી દવેનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ડૉ નિલંબરી હોમ સાયન્સ વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. ડૉ નિલંબરી અગાઉ વર્ષ 2018-19માં ઇન્ચાર્જ કુલપતિ તરીકે રહી ચૂક્યા છે. ડૉ નિલંબરી દવેના પતિ આલોક ચક્રવાત ગુરૂ ઘાંચીદાસ યુનિવર્સિટીના કુલપતિ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગિરીશ ભીમાણી કુલપતિ તરીકે આવ્યા ત્યારથી વિવાદનો પર્યાય બન્યા છે.ગુજરાતના રાજકારણમાં જે પરિવર્તન આવ્યું તેની સીધી જ અસર જોવા મળી.ગિરીશ ભીમાણીના કાર્યકાળમાં ભાજપના બે જુથ આમને સામને આવી ગયા અને રૂપાણી જુથના હોદ્દેદારોને દુર કરવાનું કામ કર્યું છે.

ગિરીશ ભીમાણીને કારણે સામે આવ્યા આ વિવાદો-

  • સેનેટની ચૂંટણી નહિ યોજવામાં આવી,જેના કારણે 7 સિનીયર સિન્ડીકેટ સભ્યોને પદ પરથી દુર કર્યા
  • યુનિવર્સિટીમાં રૂપાણી જુથ સાથે સંકળાયેલા હોદ્દેદારોને દુર કરાયા,જેના કારણે બીકોમ અને બીબીએના પેપરલીક થયા
  • જામનગરની નાઘેડી કોલેજમાં ખુલ્લેઆમ પરીક્ષાચોરી થતા વિડીયો વાયરલ થયા હતા,જે અંગે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આર્થિક લેવડ દેવડની પીએમઓમાં રજૂઆત થઇ હતી
  • એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની 19 જગ્યા માટે ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો, કુલપતિના નિર્ણય સામે શિક્ષણ વિભાગે ભરતી અટકાવી હતી
  • આ ઉપરાંત કેટલાક નનામા પત્રથી ગિરીશ ભીમાણી સામે ચારિત્ર્યના આક્ષેપો પણ થયા હતાં.