અપડેટ@ગુજરાત: શિંગોડા ડેમ પાણીથી છલકાઈ ગયો,લોકો માટે આ ડેમ પર જવાની છે મનાઇ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડેમની આજુબાજુનો વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ હોવાથી ડેમના અધિકારી અને કર્મચારી સિવાય અન્ય કોઈને આ ડેમ પર જવા દેવામાં આવતા નથી. શિંગોડા ડેમનો સ્ત્રાવ વિસ્તાર 14 કિલોમીટરનો છે. ગીર મધ્યના કનકાઈના ડુંગર વિસ્તારમાંથી શીંગવડો નદીનું મુખ આવેલું છે.
શીંગવડો નદીની કુલ લંબાઈ 82 કિલોમીટરની છે. કનકાઈથી શરૂ થઈ ગીરનું જંગલ ચીરી જામવાળા પહોંચતી આ નદી પર 1978માં વિશાળ ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમને શિંગોડા ડેમ તરીકે ઓળખવામાં આવે છે. આ ડેમમાં વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ થાય છે. ખેડૂતો, આમ નાગરિકો અને વન્યપ્રાણીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન છે. આ ડેમમાં બે નદી અને ગિરજંગલમાંથી પસાર થતા 150 જેટલા નાના-મોટા ઝરણાનું પાણી સંગ્રહાય છે.
જોકે, હાલ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે છેલ્લા બે દિવસથી ગીર જંગલ અને ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાય વિસ્તારો 1થી લઈને 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, ત્યારે ગીર જંગલમાં મુશળધાર વરસાદ નોંધાયો છે.
જેમાં શિંગોડા ડેમ ઉપરવાસમાં છેલ્લા બે દિવસમાં 5થી 6 ઇંચ વરસાદ નોંધાતા આખરે ચોમસાની વિદાય વેળાએ કોડીનાર તાલુકાના અનેક ગામોને પીવા અને સિંચાઇ માટે પાણી પુરૂ પાડતો શિંગોડા ડેમ આખરે તેની પૂર્ણ સપાટીએ ભરાયો છે. જેના કારણે સિંચાઇ વિભાગ સહિત કોડીનાર તાલુકાના આમ લોકો અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.
ગીર જંગલમાં હાલ ભારે વરસાદ પડવાની કારણે જંગલમાં આવેલાં શિંગોડા ડેમની આસપાસના વિસ્તારે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. શિંગોડા ડેમમાંથી વહેતુ પાણી અફાટ સ્વરૂપે ગીરની ગોદમાં કિલ્લોલ કરતી શીંગવડા નદીમાં વહી રહી હોય તેવું આ દ્રશ્યોમાં દર્શાઇ રહ્યું છે. વરસાદ બાદ ગીરની વનરાજી ખીલી ઉઠી છે.