વલસાડઃ માતા-પિતાએ બાળકને શાળાનું જવા કહેતા બાળકે આવેશમાં આવી ત્રીજા માળેથી પડતું મુક્યું

અટલ સમાચાર, ડેસ્ક
વલસાડના કૈલાશ નગર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા એક કિશોરે સ્કૂલ નહીં જવાનું કહી અને ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઈ હતી .સારવાર દરમિયાન કિશોરનું મોત નીપજ્યું છે. ત્યારે આ ચકચારી ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
બનાવની વિગત મુજબ, વલસાડ શહેરના કૈલાસ રોડ પર આવેલા શેઠિયા નગરના ઋષિકેશ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા સુમેકર પરિવારના 15 વર્ષીય કિશોર જયસંગ ભીખુભાઈ સૂમેકરને પરિવારજનોએ સ્કૂલ જવાનું કહેતા તેને સ્કૂલ નહીં જવાની હઠ પકડી હતી. જોકે તેમ છતાં કિશોરની માતા અને તેના મામાએ તેને સ્કૂલ જવાનું કહેતા આવેશમાં આવીને કિશોરે એપાર્ટમેન્ટના ત્રીજા માળથી નીચે છલાંગ લગાવી દીધી હતી.
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશોરને તાત્કાલિક વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન કિશોરનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે આસપાસના વિસ્તારમાંથી મળતી માહિતી મુજબ મૃતક કિશોર વલસાડની એક જાણીતી અંગ્રેજી મીડીયમની સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેને મોબાઇલમાં ગેમ રમવાની આદત પડી ગઈ હતી.