ચૂંટણીસભા@વલસાડ: સરકારે SOU પ્રોજેક્ટમાં આદિવાસીઓની જમીન હડપી: હાર્દિક પટેલ
અટલ સમાચાર,ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. આજે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કૉંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. કપરાડા તાલુકાના સુથારપાડામાં હાર્દિક પટેલને જંગી જાહેર સભા યોજાઇ હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વલસાડામાં આજે યોજાયેલી હાર્દિક પટેલની ચૂંટણીસભામાં કોંગ્રેસના અગ્રણીઓએ અનેક મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. આ સભામાં કૉંગ્રેસ અગ્રણીઓએ જીતુ ચૌધરીને ગદ્દાર કહીને આ વખતે તેમને હરાવીને જવાબ આપવા હાંકલ કરી હતી. પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને ગરીબો અને આદિવાસીઓની હમદર્દ ગણાવી હતી. વધુમાં સભાને સંબોધતા ભાજપ તરફથી આદિવાસી વિસ્તારના ધારાસભ્યને ખરીદી અને જંગલ અને જંગલની જમીન ઉધોગપતિઓને આપવાનું મોટું ષડયંત્ર હોય તેવો આક્ષેપ કર્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં પણ આદિવાસીઓની જમીન હડપીને આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના હાર્દિક પટેલે આક્ષેપો કરી કર્યા હતા.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “આદિવાસીની જમીન પડાવવાનું સરકારે કામ કર્યું છે. સરદાર પટેલ જીવિત હોત તો તેઓ પણ દુઃખી હોત કે કોઈને જમીન પડાવીને મારે મારું સ્ટેચ્યૂ નથી બનાવવું. જીતુભાઈ ચૌધરીએ 50 કરોડ રૂપિયા ખાઈની અહીંની જનતા સાથે દગો કર્યો છે.” કોંગ્રેસ ધારાસભ્ય ચંદ્રિકાબેનને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હવે કૉંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અને ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી વિરુદ્ધ બેફામ આક્ષેપબાજી કરી હતી.