આગાહી@ગુજરાત: ટિટોડીના ઈંડા પરથી વરસાદના અનુમાન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલે શું કહ્યું ?

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

આપણે ત્યાં ચોમાસું કેવું રહે તેનુ અનુમાન અલગ-અલગ રીતે કરવામાં આવતું હોય છે. નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતાં ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોક વાયકા એટલે કે, ટિટોડી ઈંડા ક્યાં મૂક્યાં છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે.

ટિટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે. પક્ષીઓ સંવેદના અને ઉત્તેજના પરથી વરસાદનું અનુમાન લગાવી શકાય છે. ટિટોડી એવું પક્ષી છે કે જે જમીન પર જ પોતાના ઈંડા મૂકે છે અને મોટાભાગે તે જમીન પર જ ફરતું હોય છે. હવે આ ટિટોડીએ ઈંડા મૂક્યા છે તે જગ્યા કેવી છે અને કેટલી ઊંચી છે, કેટલા ઈંડા મૂક્યા છે, કયા મહિને મૂક્યા છે તેના આધારે વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આપણે ટિટોડીએ ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી તારણ લગાવતા હોય છે. પરંતુ ટિટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે. જો ટિટોડી ચાર ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે વરસાદ ચારેય માસ સારો થશે, જો એક ઈંડુ મૂકે તો અષાઢમાં વરસાદ, બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ, ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના વરસાદ આવે છે.

આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, જો ટિટોડી ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે, ટિટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે. જો કે પક્ષીઓ ને દુકાળ પડવાનો હોય ખબર પડી જતી હોય છે. ટિટોડી ઈંડા ઓછા મૂકે છે, કારણ કે તે સંવેદનશીલ પક્ષીઓ છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે. જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થાય છે. ચકલી ધૂળમાં નાહી તો પણ સારો વરસાદ થાય છે અને ચોમાસામાં મોર બોલે તો પણ વરસાદ સારો થાય છે. એટલે પક્ષીઓની ચેષ્ટા પર તેમના અવાજ પરથી ચોમાસું કેવું રહેશે તેનું પણ તારણ કાઢી શકાય છે.