હાહાકાર@ઉ.ગુ: હોળી-ધુળેટીએ અકસ્માતની અલગ-અલગ 5 દુર્ઘટના, પિતા-પુત્ર સહિત 6 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
હોળી-ધુળેટીના દિવસે ઉત્તર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ માર્ગ અકસ્માતની 5 ઘટનાઓ સામે આવી છે. જેમાં હોળીના દિવસે 1 અને ધુળેટીના દિવસે 4 ઘટનાઓમાં કુલ 6 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં મોડાસા, માલપુર, પાલનપુર, હારીજ અને વડગામમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. સમગ્ર મામલે સંબંધિત પોલીસે અકસ્માત સર્જનાર ઇસમો સામે ગુનો નોંધી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
માલપુર પાસે 2 બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ખેરાના મુવાડા(હેલોદર) ગામના મણાજી હોળીના દિવસે સાંજે બાઇક લઇ ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન હેલોદર પંચાયતની નજીક રોડ પર અન્ય બાઇકે ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં ગંભીર ઇજાઓ હોઇ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ સારવાર દરમ્યાન તેમનું મોત થયુ હતુ. સમગ્ર માલમે મૃતકના પુત્રએ બાઇકચાલક સામે માલપુર પોલીસ મથકે આઇપીસી 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.
મોડાસા તાલુકાના ગામે શાકભાજી લેવા ગયેલ યુવકનું અકસ્માતમાં મોત
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જીવણપુર ગામે શાકભાજી લેવા ગયેલા યુવકનું અકસ્માતમાં મોત થયુ છે. ધૂળેટીના દિવસે બપોરના સમયે છારાનગર(જીવણપુર) રહેતાં સનીભાઇ સવજીભાઇ છારા શાકભાજી લેવા જીવણપુર ગયા હતા. જ્યાં અજાણ્યાં વાહને તેમને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. સમગ્ર મામલે મૃતકના ભાઇએ અજાણ્યાં વાહન ચાલક સામે મોડાસા રૂરલ પોલીસ મથકે આઇપીસી 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(B) મુજબ ગુનો નોંધાવ્યો છે.
પાલનપુરમાં દુધના ટેન્કરની ટક્કરે બાઇકચાલકનું મોત
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના વીરપુર પાટીયા પાસે ગઇકાલે રાત્રે અકસ્માતની ઘટનામાં બાઇકચાલકનું મોત થયુ છે. પાલનપુર તાલુકાના રતનપુર(મેરવાડા) ખાતે રહેતાં શૈલેષભાઇ ભીખાભાઇ સોલંકી અને કમલેશભાઇ સોલંકી બાઇલ લઇ પાલનપુર જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન વીરપુર પાટીયા પાસે ફોન આવતાં શૈલેષભાઇ સોલંકી ફોન પર વાત કરતાં હોઇ બાઇક સાઇડમાં ઉભુ રાખ્યુ હતુ. આ દરમ્યાન પાછળથી એક બેફામ દૂધના ટેન્કરે બાઇકને અડફેટે લેતાં કમલેશભાઇ ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના ભાઇએ ટેન્કર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.
વડગામમાં કારની ટક્કરે પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત
બનાસકાંઠા જીલ્લાના વડગામના મેમદપુર નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રનું મોત થયુ છે. વડગામની સુર્યનગરી સોસાયટીમાં રહેતાં ધીરજલાલ રતીલાલ મોદી અને તેમનો પુત્ર જીગરભાઇ મોદી બાઇક લઇ પેપોળ ગામેથી મરણપ્રસંગમાં જઇ પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમ્યાન મેમદપુર પાસે સામેથી આવતી ક્રેટા કારને તેમને અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે વડગામ પોલીસે ફરાર કારચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હારીજમાં રાહદારીનું ઇકોની ટક્કરે મોત
પાટણ જીલ્લાના હારીજ તાલુકાના ગામે કેનાલથી પરત ઘરે જતાં રાહદારીનું ઇકોની ટક્કરે મોત થયુ છે. કુરેજા ગામના ઠાકોર ઉદાજી કરશનજી ગઇકાલે કેનાલથી પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ દરમ્યાન પાછળથી આવતી બેફામ ઇકોએ અડફેટે લીધા હતા. આ તરફ તેમનો ભત્રીજો સ્થળ પર હોઇ તેમને તાત્કાલિક કાકાને સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે ગંભીર પ્રકારની ઇજાઓને કારણે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઇ મૃતકના ભત્રીજાએ ફરાર ઇકો કાર ચાલક સામે હારીજ પોલીસ મથકે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134, 187 મુજબ ગુનો નોંધાવ્યો છે.