હાલાકી@બેચરાજી: આધારકાર્ડની કામગિરી 2 દિવસથી બંધ, અરજદારોને ધરમધક્કા
અટલ સમાચાર,બેચરાજી, (ભુરાજી ઠાકોર)
મહેસાણા જીલ્લાનું પવિત્ર યાત્રાધામ બેચરાજી કોઇને કોઇ વાતે વિવાદમાં આવતુ હોય છે. ત્યારે મંગળવારે ફરી બેચરાજી મામલતદાર કચેરી આધાર કાર્ડની કામગિરીને લઇ વિવાદ સામે આવ્યો છે. માલલતદાર કચેરીમાં ખાનગી કોન્ટ્રાક્ટરોથી ચાલતી આધારકાર્ડની ઓનલાઇન કામગિરી છેલ્લા બે દિવસથી બંધ હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. જેને લઇ ગામડામાંથી મજુરીકામ છોડી આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.
ભારત સરકાર ઘ્વારા આધાર કાર્ડની કામગિરી ખાનગી કોન્ટ્રાક્ટરોને આપેલી છે. જેમાં દરેક મામલતદાર કચેરીમાં ખાનગી કોન્ટ્રાક્ટરોના માણસો આધારકાર્ડની કામગીરી કરતા હોય છે. પરંતુ મોટાભાગની કચેરીમાં છાશવારે આધારકાર્ડનું સર્વર બંધ હોવાની ફરીયાદો ઉઠતી હોય છે. બેચરાજી મામલતદાર કચેરીમાં પણ છેલ્લા બે દિવસથી આધારકાર્ડનું સર્વર ડાઉન હોવાથી કામગિરી અટવાઇ પડી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બેચરાજી મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડની કામગિરી માટે ગામડાના અરજદારો મજુરીકામ અને નોકરી-ધંધો છોડી વહેલી સવારથી જ લાઇનો લગાવી દે છે. ખાનગી કંપની ઘ્વારા આધારકાર્ડ માટેના ફોર્મ પણ સ્વિકારી લેવાયા છે. પરંતુ સર્વર ડાઉન હોવાથી કામગિરી અટવાઇ પડતા અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે.
એકાદ કલાકમાં કામગિરી શરૂ થઇ જશે : મામલતદાર, બેચરાજી
બેચરાજી મામલતદાર મહિપતસિંહ ડોડીયાએ સમગ્ર બાબતે જણાવ્યુ હતુ કે, આધારકાર્ડની કામગિરી ખાનગી કોન્ટ્રાક્ટરોને આપેલી છે. ખાનગી કંપનીના માણસો જયારે આવી કોઇ સમસ્યા સર્જાય ત્યારે, ઉપલા અધિકારીને આ સમસ્યાની જાણ કરતા હોય છે. તેમને જણાવ્યુ હતુ કે,ખાનગી કંપની પાસે બે કોમ્પ્યુટર છે. હુ મારી ઓફીસના કોમ્પ્યુટર પણ આધારની કામગિરી માટે મોકલી આપુ પરંતુ, આધાર કંપનીના સોફટવેર ના હોવાને કારણે તે કામ માત્ર તેમના કોમ્પ્યુટરમાં જ થઇ શકે છે. પરંતુ આગામી એકાદ કલાકમાં આધારની કામગિરી ચાલુ થઇ જશે. અને બીજા કોમ્પ્યુટરમાં કામગિરી કાલ સવાર સુધી શરૂ થઇ જશે.