ભયાનક@સમી: 6 ના મોત પરંતુ ભૂલ કોની? ઓવરટેકની લ્હાયમાં રિક્ષાનો ભૂકો, બસ ડ્રાઈવરની અટક

 
Akasmat
કોણે વાહન ચલાવતાં કાબૂ ગુમાવ્યો તે સૌથી મોટી તપાસનો વિષય 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સમી નજીક આજે ભયાનક અકસ્માતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો મચી જાય તેવી હાલત બની છે. વાદી સમાજના મુસાફરો ભરેલી રિક્ષાનો કચ્ચરઘાણ વળી જતાં એકસાથે 6 ના કરૂણ મોત નિપજયા છે. સરકારી એસટી બસની ટક્કરે અકસ્માત થયો પરંતુ આ 6 વ્યક્તિના મોત કેવીરીતે થયા તે ગુથ્થી શોધવા સમી પોલીસ કામે લાગી છે. પ્રાથમિક તબક્કે સામે આવ્યું કે, બંને વાહનો અથવા કોઈ એક વાહન ઓવરટેકની લ્હાયમાં આ અકસ્માત થયો છે. રાધનપુર જતી રિક્ષા અને કચ્છથી આવતી બસ કેવીરીતે ટકરાઇ અને કોની ભૂલથી અકસ્માત થયો તે સૌથી મોટો સવાલ બન્યો છે. જાણીએ 6 વ્યક્તિના વગર વાંકે મોતની ઘટનાની જવાબદારી કોની

પાટણ જિલ્લાના સમીથી રાધનપુર તરફ વચ્છરાજ હોટેલ નજીક આજે સવારે એક ભયંકર અકસ્માત થયો છે. રિક્ષામાં સવાર 6 વ્યક્તિના કરૂણ મોત થયા અને બસમાં સવાર કોઈને જાનહાનિ થઇ નથી. ઘટનાના દ્રશ્યો જોતાં બસની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો એટલે રિક્ષામાં સવાર ડ્રાઇવર સહિતનાઓના કરૂણ મોત નિપજયા છે. જોકે કોણે કેવીરીતે અકસ્માત સર્જી દીધો અથવા કોણે વાહન ચલાવતાં કાબૂ ગુમાવ્યો તે સૌથી મોટી તપાસનો વિષય છે. એટલે આ બાબતે સમી પોલીસ સ્ટેશનના કર્મચારી અજીતભાઈએ જણાવ્યું કે, ઓવરટેક કરતાં અકસ્માત થયો છે અને બસ ચાલકે બ્રેક ખૂબ કરી એ બસના ટાયર ઉપરથી જણાય છે. જોકે કોણે જોખમી ઓવરટેક કરી તે હજુ તપાસ હેઠળ છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માત થયો તે જગ્યાનો સરેરાશ 5થી 10 કિલોમીટર હાઈવે ગંભીર અકસ્માતોનો સાક્ષી છે છતાં એક્સિડન્ટ પોઈન્ટની કામગીરી માર્ગ સલામતી સમિતિ કરી શકી નથી. આટલુ જ નહી, ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી ઓથોરિટીએ પણ અહિં એક્સિડન્ટના સ્પોટ શોધી નક્કી કરી ધોરણસરની પ્રક્રિયા કરી નથી તે અત્યંત ગંભીર સવાલ છે. આ અકસ્માતમાં જે 6 વ્યક્તિના વગર વાંકે મોત થયા તેમાં જો ઓવરટેકની વાત હોય તો ત્રીજું વાહન કયું હતું? શું ત્રીજા વાહનના ચાલકે બેદરકારી દાખવી અથવા બસ કે રિક્ષા પૈકી કોઈ એક વાહને અત્યંત જોખમી ઓવરટેક કર્યું? આ તમામ સવાલો પોલીસ તપાસમાં સામે આવશે પરંતુ વર્ષમાં અનેકવાર આ હાઇવે પર અકસ્માત થયા છતાં જિલ્લા વહીવટી તંત્રની માર્ગ સુરક્ષા સમિતિ અને રોડ સેફ્ટી ઓથોરિટીએ શું કર્યું તે ગંભીર સવાલ છે.