ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, બેંક કર્મચારીઓ હડતાળ પાડશે તો ?

અટલ સમાચાર, ડેસ્ક
ઇન્ડિયન બેન્ક એસોસિએશન બેંક યુનિયન ફેડરેશને રજુઆત કરી હતી કે તેઓ તા. 11, 12 અને 13 તારીખે હડતાળ પર નહીં ઉતરે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી જવાબ રજૂ ન કરતાં હાઇકોર્ટે લાલ આંખ કરી હતી અને કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો કે 20/4/20 સુધીમાં જવાબ આપો અથવા જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર કરો. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું હતું. જેમાં જાહેર હિતમાં હડતાલ પર જતા અટકાવવા અંગેના વહીવટી પરિપત્ર કે જાહેરનામાં બહાર પાડવાની રિઝર્વ બેન્કને સત્તા હોવાની કબૂલાત કરી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આરબીઆઇ અને બેંક યુનિયન શું કાર્યવાહી કરવા માંગે છે તે અંગે ત્રણ માર્ચ સુધીમાં ખુલાસો કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો. અગાઉની સુનાવણીમાં બેંક યુનિયન વતી એફિડેવિટ રજૂ થઈ હતી જેમાં જણાવ્યું હતું કે તેમની માંગણીઓ યોગ્ય હતી આથી બેંક હડતાળ લોકહિતમાં પાડવામાં આવી હતી. સામે પક્ષે અરજદારો દ્વારા તેમના વકીલ મારફતે રજુઆત કરાઈ હતી કે 31 જાન્યુઆરી તથા 1 ફેબ્રુઆરી એમ બે દિવસની બેંકોમાં હડતાળને કારણે 23 હજાર કરોડના લગભગ 31 લાખ ચેકોનું ક્લિયરિંગ અટક્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર તથા રિઝર્વ બેન્ક દ્વારા જવાબ રજૂ ન કરાયો હોવાથી મુદ્દત પડી હતી. જેમાં હાઈકોર્ટે હડતાળને જનહિતમાં અયોગ્ય ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે અવારનવાર પોતાની પડતર માંગણીઓ ન સંતોષતા હડતાળ ઉપર જવા મજબુર બેંક કર્મચારીઓની હડતાળથી નારાજ વેપારી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. જાન્યુઆરીમાં સળંગ બે દિવસ અને માર્ચમાં ત્રણ દિવસની બેન્ક કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી વેપારી સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારોની રજૂઆત છે કે આર્થિક હાડમારી ભોગવતા દેશમાં બેન્કો વારંવાર હડતાલ પાડશે તો નાના વેપારીઓનું શું થશે?