ઘટના@અમદાવાદ: 4 વિદ્યાર્થીના માતા-પિતા ઘેરા આઘાતમાં, MBBSની ડિગ્રી મળે તે પહેલા મોત મળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બી.જે.મેડિકલમાં અભ્યાસ કરતા એમબીબીએસમાં પ્રથમ વર્ષના બે અને બીજા વર્ષના બે વિદ્યાર્થી સહિત ચાર વિદ્યાર્થી મેસ બિલ્ડિંગમાં મૃત્યુ પામ્યા છે. ત્યારે માતા-પિતાએ અનેક મહેનત કરીને એમબીબીએસ ભણવા મોકલેલા સંતાનો ડૉક્ટર બને તે પહેલા-એમબીબીએસની ડિગ્રી મળે તે પહેલા મોત મળ્યુ છે. આ ચારેય વિદ્યાર્થીઓના માતા-પિતા અને પરિવારજનો ઘેરા આઘાતમાં છે અને તેઓ આજે મૃતદેહ પોત પોતાના વતન લઈ ગયા હતા. ચાર વિદ્યાર્થીમાં બે રાજસ્થાનના અને એક ભાવનગરના તળાજાનો તેમજ એક મઘ્યપ્રદેશનો છે.
જયપ્રકાશ ચૌધરી બી.જે.મેડિકલમાં એમબીબીએસમાં બીજા વર્ષમાં ભણતો હતો અને તેણે નીટમાં 675 માર્કસ મેળવી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હતો. તેના પિતા ધર્મારામ ચૌધરી ફેકટરીમાં મજૂર કરે છે અને જયપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બોરચારણા ગામનો છે. તેને એક નાનો ભાઈ છે. જ્યારે માતા ગૃહિણી છે. મઘ્ય પ્રદેશના ગ્વાલીયર નજીક જિમ્પસોલી ગામના વતની આર્યનના પિતા ગામમાં ખેતી કરે છે અને જેન એક ભાઈ અને બહેન છે. આજે આયર્નના પરિવારજનો મૃતદેહ લઈને પોતાના વતન જવા રવાના થયા હતા.
મેડિકલના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીઓમાં માનવ ભાદુ મૂળ રાજસ્થાનના હનુમાનગઢી જિલ્લાનો છે અને ગત વર્ષે જ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ લીધો હતો.તેણે નીટમાં 720માંથી 700 માર્કસ સાથે ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો હતો. એઈમ્સમાં એડમિશન મળતું હતું છતાં પણ તેણે છોડીને બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો. એમબીબીએસના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીમાં રાકેશ દિહોરા બીજા વર્ષનો વિદ્યાર્થી હતો અને તે મૂળ ભાવનગરના તળાજનો છે. અને રાકેશના પિતા ખેતી કરે છે.