ઘટના@ભિલોડા: ખેતરમાં શેઢાને લઇ ઇસમો સરપંચ પર કુહાડી-લાકડી લઇ તુટી પડ્યાં, 7 વિરૂધ્ધ FIR
અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા
ભિલોડા તાલુકાના ગામે સરપંચ ઉપર ખેતરના શેઢા બાબતે ઝઘડો કરી ઇસમોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામના સરપંચ ઉપર શેઢા બાબતે થયેલ માથાકૂટને લઇ અદાવત રાખી કુહાડી અને લાકડી વડે હુમલો થયો છે. જેમાં સરપંચને જમણા હાથે ફેક્રચર થયાનું સામે આવ્યુ છે. આ સાથે ઇસમોએ ખુન કરવાની ધમકી પણ આપી હોવાથી સરપંચે તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ભિલોડા પોલીસે 7 વ્યક્તિ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મુનાઇઘાંટીના સરપંચ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. મુનાઇઘાંટીના નાનજીભાઇ રૂપાભાઇ પાંડોર હાલ ગામમાં સરપંચ તરીકે કાર્યરત છે. ગઇકાલે ગામના ઇસમો પોતાના ખેતરમાં મકાન બનાવતાં હોઇ જેસીબી સરપંચના ખેતરમાંથી લીધા બાદ ખેતરનો શેઢો તોડી નાંખ્યો હતો. જેથી સરપંચ કહેવા જતાં ઇસમો ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી હતી. આ સાથે કુહાડી અને લાકડી વડે સરપંચ પર હુમલો કરી દેતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી જીલ્લામાં ગામના સરપંચ પર હુમલાની ઘટનાને લઇ હડકંપ મચી ગયો છે. ગઇકાલે સવારે બનેલી ઘટનામાં ગામના સંજયભાઇ, હેતલબેન, મરીયમબેન, અંકીતભાઇ, મનુભાઇ, ગજેન્દ્ર અને અમરતભાઇ લાકડીઓ અને કુહાડી લઇ તુટી પડતાં સરપંચને જમણા હાથે ફ્રેક્ચર થયુ હતુ. આ સાથે દાંત પણ તુટી ગયા હોઇ સરપંચે સારવાર કરાવ્યા બાદ ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ભિલોડા પોલીસે 7 ઇસમો વિરૂધ્ધ આઇપીસી 326, 323, 142, 143, 147, 148, 149, 504, 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .