ઘટના@બોટાદ: ઈંગોરાળા ગામે ચૂંટણી યુવકનાં મોતનું કારણ બની, જાણો સમગ્ર મામલો

 
ઘટના
ગામનાં ત્રણ લોકોએ તેમને ધાકધમકી આપી હતી તેવા આરોપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોટાદ જિલ્લાના ગઢડાનાં ઈંગોરાળા ગામે ચૂંટણી એક યુવકના મોતનું કારણ બની છે.ઉમેદવારી ફોર્મ ન ભરવા માટે મળેલી ધમકી બાદ યુવા આગેવાને આપઘાત કર્યો હોવાના સમાચાર છે. યુવા આગેવાને ઝેરી દવા પી લેતા ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવક ચૂંટણીમાં ફોર્મ ભરવાના હતા. મૃતકનાં ભાઈએ 3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના ગઢડાનાં ઈંગોરાળા ગામે રહેતા યુવા આગેવાન અનિરુદ્ધભાઈ ખાચરને સરપંચનું ફોર્મ નહીં ભરવા માટે ધાકધમકી મળી હતી, જેથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી હતી. ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અનિરુદ્ધભાઈનું મોત નીપજ્યું છે. અનિરુદ્ધભાઈ ખાચર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનાં હતા પરંતુ, ગામનાં ત્રણ લોકોએ તેમને ધાકધમકી આપી હતી તેવા આરોપ છે. આત્મહત્યા કરતા પહેલા અનિરુદ્ધભાઈએ તેમના ભાઈને વોટ્સએપ મેસેજ કર્યો હતો. આ કેસમાં અનિરુદ્ધભાઈનાં ભાઈ રણજિત દડુભાઈ ખાચરે ઈંગોરાળા ગામનાં મહેશ ગભરૂભાઈ ખાચર, અમરશી ભગવાનભાઈ ઝાંપડિયા અને પ્રવિણ ઝાંપડિયા વિરુદ્ધ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.