ઘટના@દિયોદર: યુવતિને કેનાલમાં પડતી જોઇ, દોડતી 108ની ટીમે બચાવી લીધી
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
દિયોદરમાં 108ની ટીમે ફરજ દરમ્યાન એક યુવતિને કેનાલમાંથી બહાર નિકાળી સરાહનિય કાર્ય કર્યુ છે. ગઇકાલે 108ની ટીમ દિયોદર પંથકના ગામમાંથી ડીલીવરીના કેસમાં સગર્ભા મહિલાને લઇ નર્મદા કેનાલ નજીકથી હોસ્પિટલ જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન કેનાલ નજીક એક યુવતિએ અચાનક આત્મહત્યાના ઇરાદે કેનાલમાં કુદકો મારતાં પાયલટે તાત્કાલિક 108 સાઇડમાં કરી અને સ્ટાફે મળી અંદરથી રસ્સો ફેંકી તેનો જીવ બચાવ્યો હતો. જે બાદમાં યુવતિને બહાર નીકાળી જરૂરી સારવાર કરી સરાહનિય કાર્ય કર્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામે ગઇકાલે એક ડિલીવરીનો કેસ હોવાથી 108ને બોલાવી હતી. જે બાદમાં 108 સગર્ભા મહિલાને લઇ દિયોદર રેફરલ હોસ્પિટલ તરફ જઇ રહ્યા હતા. આ દરમ્યાન સલીમગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં અચાનક એક 25 વર્ષિય યુવતિએ આત્મહત્યાના ઇરાદે છલાંગ લગાવી હતી. જેમાં સમયનો વિલંબ કર્યા વગર પાયલટ દિનેશભાઈ નાઈએ તાત્કાલિક 108 ગાડીને રોડની સાઇડમાં કરી હતી. 108 ગાડીમાંથી રસ્સો લાવી કેનાલમાં ફેંકી યુવતિને પકડવા આહવાન કર્યુ હતુ.
આ તરફ કેનાલમાં પડેલી યુવતિએ બે વાર રસ્સો નહીં પકડતાં દિનેશભાઇ સહિત સ્થળ પરના વ્યક્તિઓ ચિંતાગ્રસ્ત બન્યા હતા. જોકે ત્રીજી વાર રસ્સો નાંખતાં યુવતિએ પકડી લેતાં તાત્કાલિક બહાર લાવવા દોડધામ કરી હતી.
ઇમરજન્સી મેડીકલ ટેકનિશિયન રમેશભાઇ સુથારે ચેકઅપ કરી યુવતિને હોસ્પિટલ લઇ જવાની સલાહ આપી હતી. જોકે યુવતિએ કહેલ કે મને કોઇ તકલીફ નથી જેથી જવાની જરૂર નથી. આ તરફ 108માં અન્ય પેશન્ટ હોઇ તેઓ ત્યાંની નીકળી ગયા હતા. 108ના કર્મચારીઓએ ફરજ વચ્ચે માનવિય ધોરણે જીવ બચાવવાનું મોટું કામ કરતાં સ્થાનિક મહિલાનો બચાવ થયો છે.