ઘટના@ગાંધીનગર: 7 વર્ષના બાળકનું કૃત્રિમ તળાવમાં પડી જવાથી મોત, તંત્ર પર ઊભા થયા સવાલ

 
ઘટના
તંત્રની બેદરકારીના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં બે વ્યક્તિના મોત નિપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોમાસું શરૂ થયાના  થોડા જ સમયમાં તંત્રની બેદરકારીઓ સામે આવી છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં એક આધેડનું તંત્રની બેદરકારીના કારણે ગટરમાં પડી જવાથી મોત નિપજ્યું હતું. આજે ગાંધીનગરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં સાત વર્ષના કૃત્રિમ તળાવમાં પડી જવાથી મોત નિપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર-1માં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નગર પાલિકા દ્વારા નાનકડું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું.  તેની આસપાસ કોઈ બેરિકેડિંગ કે ફેન્સિંગ  લગાવવામાં નહતી આવી.

આ દરમિયાન સોમવારે સાંજે કુલદીપ નામનો સાત વર્ષનો બાળક આ વિસ્તારમાંથી સાઇકલ ચલાવીને જઈ રહ્યો હતો. તે વખતે કુલદીપ આ કૃત્રિમ તળાવમાં પડી ગયો હતો. ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે અહીં મોટી માત્રામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે બાળક પાણીમાં ડૂબી ગયું અને ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું. આખી રાત બાળકને શોધ્યા બાદ વહેલી સવારે સ્થાનિકો દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. લોકોમાં શોકની લાગણી છવાઈ છે. આ સાથે જ તંત્ર ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.