ઘટના@ગાંધીનગર: સચિવાલય પરિસરમાં SRP જવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર સચિવાલયની સુરક્ષામાં તહેનાત સ્ટેટ રિઝર્વ પોલીસના એક જવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી છે. એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલ સચિવાલયના ગેટ નંબર-3 પાસે સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત હતા. મોડી રાત્રે તેણે ગેટ નજીક આવેલા એક ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આસપાસના કર્મચારીઓ અને અન્ય સુરક્ષાકર્મીઓની નજર પડતા જ દોડધામ મચી ગઈ હતી. SRP જવાન મૂળ ભાવનગર જિલ્લાના વતની હતા.બનાવની જાણ થતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પહેંચીને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. સચિવાલય જેવા ગીચ સુરક્ષાવાળા વિસ્તારમાં જવાને કેમ આવું આકરું પગલું ભર્યું, તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.

