ઘટના@મહીસાગર: કૌટુંબિક ઝઘડાનો કરુણ અંત, 3 માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંક્યો

 
ઘટના

બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કૌટુંબિક ઝઘડાએ હૃદયદ્રાવક વળાંક લીધો છે. ઝાલડા ગામમાં પતિ-પત્ની વચ્ચે થયેલા પારિવારિક વિવાદ બાદ પિતાએ પોતાના જ 3 માસના માસૂમ પુત્રને પાણી ભરેલા કૂવામાં ફેંકી દીધો હોવાનો આક્ષેપ છે. બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ છવાયો છે.મળતી વિગતો મુજબ ઝાલડા ગામના આશિષભાઈ બારીયાને તેમની પત્ની સાથે કોઈ પારિવારિક મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો વધુ વણસ્યો હતો.

આક્ષેપ મુજબ ગુસ્સામાં આવેલા આશિષભાઈએ પોતાના 3 માસના પુત્રને પાણી ભરેલા કૂવામાં ફેંકી દીધો હતો. ઘટના બાદ માસૂમ પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોતાના બાળક માટે ન્યાયની માંગ સાથે માતાએ સંતરામપુર પોલીસ મથકે પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. કૌટુંબિક ઝઘડાની શરૂઆત કયા મુદ્દે થઈ હતી, ઘટના કઈ પરિસ્થિતિમાં બની અને સમગ્ર ઘટનાની ચોક્કસ હકીકત શું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ત્રણ મહિનાના માસૂમના મોતની આ ઘટનાએ સંતરામપુર પંથકને હચમચાવી નાખ્યો છે.