ઘટના@ઊંઝા: છાણ નાંખવા ગયેલ સગીરા ગુમ, અજાણ્યો ઇસમ ભગાડી ગયાની શંકા
અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા
ઊંઝા તાલુકાના ગામેથી સગીરા ગુમ થતાં અજાણ્યો ઇસમ ભગાડી ગયો હોવાની શંકા ઉભી થઇ છે. તાલુકાના એક ગામના પરિવારની સગીર દીકરી ગઇકાલે સાંજે છાણ નાંખવા ગયા બાદ પરત ફરી ન હતી. જે બાદમાં ભારે શોધખોળને અંતે પણ સગીરા નહીં મળતાં પરીજનો ભાંગી પડ્યા હતા. જેથી કોઇ અજાણ્યો ઇસમો સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાની શંકા રાખી સગીરાની માતાએ અજાણ્યાં ઇસમ સામે ઊંઝા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના એક ગામે સગીરાને ઇસમ ભગાડી ગયાની ઘટના સામે આવી છે. ગામમાં છુટક મજૂરી કરીને રહેતાં પરિવારની સગીર દીકરી ગઇકાલથી ગુમ થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે ખેતરેથી પરત આવી ફરીયાદી અને તેમનો પુત્ર ભેંસ દોહતાં હતા. આ સાથે તેમના પતિ ગામમાં મજૂરીએ ગયા હોઇ સગીરા છાણ નાંખવા ઉકરડા સુધી ગઇ હતી. જોકે અમુક સમય સુધી તે પરત નહીં આવતાં પરિવારે શોધખોળ કરતાં તે મળી આવી ન હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરિવારે ગામમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે, તેમની દીકરીને તેમના ખેતર બાજુ દોડતી ગઇ છે. જેથી તાત્કાલિક પરિવારે ખેતરમાં પણ તપાસ કરવા છતાં સગીરા મળી આવી ન હતી. આ તરફ કોઇ અજાણ્યો ઇસમ સગીરાને લલચાવી-ફોસલાવીને લઇ ગયો હોવાનો શક-વહેમ હોઇ સગીરાની માતાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઊંઝા પોલીસે અજાણ્યાં ઇસમ સામે આઇપીસી કલમ 363 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.