રિપોર્ટ@વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પુત્રની માનતા પૂરી કરવા જતાં માતાએ પતિ-સંતાનો ગુમાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને 9 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પુત્રની માનતા પૂરી કરવા જતાં માતાએ પતિ-સંતાનો ગુમાવ્યા છે.
દુર્ઘટના બાદ નદીમાં પાણીની વચ્ચે એક માતા 'મારો છોકરો ડૂબી ગયો'ના આક્રંદ કરતા હોવાનું જોવા મળ્યું હતું. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં દરિયાપુર ગામના પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. જેમાં પુત્રની માનતા પુરી કરવા માટે સોનલબેન પઢિયાર, પતિ રમેશ પઢિયાર, પુત્રી વૈદિક અને પત્ર નૈતિક બગદાણા જઈ રહ્યા હતા, આ દરમિયાન બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દરિયાપુર ગામના સોનલબેને પતિ અને બે સંતાનો ગુમાવ્યા છે.