ઘટના@પાલનપુર: પોલીસ કોન્સ્ટેબલનો ગળેફાંસો ખાઈ આપઘાત, અધિકારીઓ પર ગંભીર આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે પોતાના ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સમગ્ર મામલે પરિવારને જાણ થતા પરિવારમાં શોક અને આક્રંદ છવાયો છે. પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના કહી છે. સાથે જ આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ અને પરિવાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. મૃતક સામે પ્રોહીબેશન હેઠળ ગુનો નોંધ્યા બાદ સુરત ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી હતી. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
વિઠ્ઠલ ચૌહાણે એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. અને આ જ સ્યુસાઇડ નોટમાં તેણે પોલીસ પર ગંભીર આરોપો મૂક્યા હતા. જેથી પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણ ભુજમાં ફરજ દરમિયાન સસ્પેન્ડ થયા બાદ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. તેણે આપઘાત પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. નોટમાં પશ્ચિમ કચ્છના SP વિકાસ મુંડા, PI બી.પી.ખરાડી તેમજ નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.