ઘટના@સુરત: મહિલા બે બાળકો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેન માથે ફરી વળતા મહિલાનું મોત

 
ઘટના
સુરતમાં 13 દિવસમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં મહિલા પોતાના બે બાળકોને લઈને રેલવે ટ્રેક પર સૂઈ ગઈ હતી. ટ્રેન માથે ફરી વળતા માતાના બે કટકા થતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેના બે સંતાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.સુરત રેલવે સ્ટેશન ખાતે આજે બપોરે એક મહિલા પોતાનાં બે સંતાન સાથે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પહોંચી હતી અને આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. ત્યારે ટ્રેન અડફેટે આવતાં મહિલા કપાઈ ગઈ હતી અને અને તેનું ઘટનાસ્થળે જ કામકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે તેનાં બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઈ હતી અને સ્થળ ઉપરનાં દૃશ્યો જોઈ તમામ ચોંકી ઊઠ્યા હતા. બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સુરતમાં 13 દિવસમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. આશરે 27 વર્ષીય એક અજાણી મહિલા અને તેના બે બાળકો 3 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય પુત્રી સાથે બપોરે લગભગ 12 વાગ્યે સુરત રેલવે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ નંબર 2ની આગળ એક માલગાડી ટ્રેન આગળ આવી ગયા હતા.

ઘટનાને પગલે સ્થળ ઉપર ભેગા થયેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરતા EMT અને પાયલટ સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં બંને બાળકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં સ્મીમેર હોસ્પિટલ અને રેલવે સ્ટેશનના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, અજાણી મહિલા પોતાના બંને બાળકોને લઈને સ્ટેશન પર આપઘાત કરવાને ઈરાદે પહોંચી હતી અને એક માલગાડી આગળ ટ્રેક ઉપર સુઈ ગઈ હતી. ત્યારે ટ્રેન અડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. જો કે, આ મહિલા કોણ છે અને આ સમગ્ર ઘટના શું છે તે અંગે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.