અયોગ્ય@મહેસાણા: ડેરીના કોર્ષ પછી નોકરી અધ્ધરતાલ, આંદોલનની તૈયારી
અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)
મહેસાણાની દૂધસાગર ડેરી સામે વહીવટી રીતે ગંભીર સવાલોને લઇ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. મિલ્ક પ્રોડક્શન અને મેનેજમેન્ટનો કોર્ષ બાદ ડેરીએ વિદ્યાર્થીઓને નોકરી આપવાની પણ ગેરંટી આપી હતી. જોકે અનેક યુવાનોએ કોર્ષ કરવા છતાં નોકરી નહિ મળતાં બેરોજગાર રહ્યા હોવાની રજૂઆત એબીવીપીએ કરી છે. એબીવીપીના કાર્યક્રરોએ ડેરીના સત્તાધિશોને આવેદનપત્ર આપ્યા બાદ 10 દિવસમાં યોગ્ય નિર્ણય લેવા જણાવ્યુ હતુ. જે બાદ આજે કલેક્ટરને આવેદનપત્ર આપી કાલથી જલદ કાર્યક્રમો આપવાનું જણાવ્યુ હતુ.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિદ્યાર્થીઓ ડેરીના માન્ય કોર્ષ બાદ નોકરી ન મળતાં રોષે ભરાયેલા છે. અગાઉ ડેરીના ચેરમેનને આવેદનપત્ર આપી 10 દિવસમાં યોગ્ય નિર્ણય લાવવા જણાવ્યુ હતુ. જોકે આજે 10 દિવસ બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એબીવીપી દ્રારા મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં તેમણે જ્યાં સુધી વિદ્યાર્થીઓની નોકરીની માંગ પુરી નહિ થાય ત્યાં સુધી આજથી એબીવીપી વિવિધ પ્રકારના જલદ કાર્યક્રમો આપશે તેમ જણાવ્યુ હતુ.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં ડેરીના સંચાલકો દ્રારા સંતોષપૂર્ણ જવાબ આપવામાં આવેલ નથી. આ સાથે 2020માં પાસ થનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ખતરામાં લાગી રહ્યું હોવાથી એબીવીપીએ ન્યાયની માંગ કરી છે. આમ બંને વર્ષના પૂર્ણ 76 વિદ્યાર્થીઓમાંથી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓને નોકરી આપવા અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા માંગ કરવામાં આવી છે. જોકે 10 દિવસમાં સમાધાન નહિ આવતા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
કેમ ઉભો થયો છે વિવાદ ?
દૂધસાગર ડેરીના પરિપત્ર ક્રમાંક સી.એસ.04 તારીખ 12-6-2015 અનુસાર ગણપત યુનિવર્સીટી હેઠળ મિલ્ક પ્રોડક્શન અને ડેરી મેનેજમેન્ટનો 4 વર્ષનો કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં 100 ટકા નોકરીની બાંહેધરી પણ ડેરી દ્રારા આપવામાં આવી હતી. જોકે 2019માં અભ્યાસ પૂરો કરેલ વિદ્યાર્થીઓ કોર્ષ મુજબની નોકરીથી વંચિત રહ્યા હોવાનું સામે આવતા એબીવીપી મેદાને આવ્યુ છે.