જાણકારી@ગુજરાત: કોણ છે રાજ્યસભાના ઉમેદવાર રમીલાબેન અને અભયકુમાર ?
અટલ સમાચાર, અમદાવાદ
ગુજરાતમાં ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રમીલાબેન બારા અને અભય ભારદ્રાજને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ તરફ ભાજપમાં જ તેઓની પસંદગીને લઇ નારાજગી ઉભી થઇ હોવાનું ચર્ચાનઇ રહ્યુ છે. ગુજરાતમાં ભાજપ દ્વારા જ્ઞાતિવાદ આધારિત રાજ્યસભાના ઉમેદવાર નક્કી કરાયાનો ગણગણાટ છે. આદિવાસી કાર્ડ અને સવર્ણ કાર્ડનો ખુબ જ ખુબીથી ઉપયોગ કરવામાં આવ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્યસભામાં ૪ વાર વિધાનસભા ચુંટણી હારી ચૂકેલા ઉમેદવાર અને એક લીગલ ખાતુ સંભાળનાર અંગત મિત્રને કેમ ઉમેદવારી આપવામાં આવી તે સહિતની ચર્ચાએ જોર પકડ્યુ છે. રૂપાણી પોતાના અંગત માણસોને ઉપર લઈ જઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે. પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં કેમ નથી રાખવામાં આવ્યું તે અંગે પણ ચર્ચા થઈ રહી છે.
કોણ છે રમીલાબેન બારા ?
રમીલાબેન બારા આદિવાસી સમાજમાંથી આવે છે અને તેઓ ખેડબ્રહ્માથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તથા હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. અભય ભારદ્વાજ રાજકોટના રહેવાસી છે તથા જનસંઘના નેતા સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ છે. હાલ તેઓ રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવે છે.
ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે આદિવાસી સમાજના રમીલા બારાની પસંદગી કરી છે. તેઓએ ગુજરાત યુનિવર્સિટીમાંથી B.A. અને ગુજરાત વિદ્યાપીઠમાંથી B.Ed કર્યું છે. જે બાદ તેઓએ 1977માં વિજયનગરની મહારાજા હમિરસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કરિયર શરૂ કરી હતી. તો 1986માં તેઓ સેક્શન ઓફિસર બન્યા હતા. અને બાદમાં પ્રમોશન મળતાં તેઓ નાયબ સચિવ બન્યા હતા.
2002માં તેઓએ VRS લઈ ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં જોડાયા બાદ વર્ષ 2004માં તેઓ ખેડબ્રહ્મા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા. તેઓ આદિવાસી વિકાસ ખાતાના ચેરમેન રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ વર્ષ 2004માં લોકસભાની ચૂંટણી પણ લડ્યાં હતા. પરંતુ કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી સામે તેમનો પરાજય થયો હતો. જ્યારે 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ રમીલાબેનને હારનો સામનો કરવો પડ્યો હતો.
કોણ છે અભયકુમાર ભારદ્રાજ ?
અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ 2 એપ્રિલ 1954નાં રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. તેઓ નાનપણથી અભ્યાસમાં રૂચિ ધરાવતાં હતા. જેને કારણે યુગાન્ડા સરકારે તેઓને ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી. તેઓ મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં. માત્ર 17 વર્ષની વયે જનસતામાં જોડાયા અને 18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં.
1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. રાજકોટ બાર એસોસિયેશનમાં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતાં. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર છે. તેઓ પરશુરામ સંસ્થાનના સ્થાપક છે. તેમના પરિવારમાંથી તેઓ અને નીતિન ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. લો કમિશનના તેઓ સદસ્ય પણ રહી ચુક્યા છે. કોમી રમખાણો વખતે સરકાર તરફથી તેઓ ઘણા કેસ પણ લડી ચૂક્યા છે. સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ છે. હાલ તેઓ રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવે છે.