રજૂઆત@મહેસાણા: 140 સસ્તા અનાજના કર્મચારીઓનું આરોગ્ય તપાસવા સલાહ
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જીલ્લામાં કોરોના વાયરસને લઇ સસ્તા અનાજની દુકાનના કર્મચારીનું આરોગ્ય તપાસવા રજૂઆત થઇ છે. તાલુકા FPS એસોસીએશનના પ્રમુખ અને કારોબારી મંત્રી તમામ દુકાનદારોની વેદના લઈ મામલતદાર પાસે દોડી ગયા હતા. જેમને આવેદનપત્ર આપી ઝડપથી સસ્તા અનાજના 140 દુકાનધારકો અને કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવા માગણી કરી દીધી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણાના સસ્તા અનાજની દુકાન સાથે 140 સંચાલકો સંકળાયેલા છે. જેમની સાથે વેચાણ, કોમ્પ્યુટર ઓપરેટર સહિતના કર્મચારીઓ પણ જોડાયેલા રહે છે. તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં સંચાલક સહિત આશરે ૫૦૦ વ્યક્તિઓ 1.40 લાખ રાશન કાર્ડધારકો સાથે વિતરણ કામગીરી દરમિયાન સીધા સંપર્કમાં રહે છે. જેથી એસોસિયેશનને ડર સતાવી રહ્યો છે કે, કોરોના વાયરસને સંક્રમણ ફેલાવવા મોકળાશ ના થઈ પડે માટે કોરોનાને હરાવવા અમારા તમામ કર્મચારીઓનુ આરોગ્ય ચકાસવામાં આવે. આમ કરવાથી સ્પ્રેડ કરતી કોરોના ચેઈન તોડી શકાય. આ રજૂઆતમા સરકારી તંત્રને અગમચેતી વાપરી કોરોનાની ગંભીરતાથી બચવા ચેતવી દીધા છે.
મહેસાણા તાલુકા FPS એસોસિયેશનના પ્રમુખ રમેશ ચૌધરી અને કારોબારી મંત્રી જિતેન્દ્રસિંહ સોલંકી એ મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સરકાર દ્રારા જે તારીખ જાહેર કરે તેવી રીતે અમો વિતરણ કરવા તૈયાર છીએ. અમો ઘરની કે કુટુંબની પરવાહ કર્યા વગર રાષ્ટ્રહિત માટે ખડેપગે તૈયાર છીએ. માટે સસ્તા અનાજની દુકાનના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ સત્વરે કરવામાં આવે.
આ કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં અનેક જગ્યાએ સસ્તા અનાજની દુકાનના કર્મચારીને પોઝિટીવ રીપોર્ટ આવેલા છે. જો દુકાનદારને ચેપ લાગે તો અન્ય કેટલાય લોકોને ચેપ લાગવાની સંભાવનાને ઢીલાશથી લઈ શકાય તેમ નથી. જેમાં સસ્તા અનાજની દુકાન સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ આગામી 07-05-2020ની વિતરણ વ્યવસ્થા ચાલુ કરે તે પહેલા મેડિકલ ચેકઅપ કરવા માંગ કરી છે.