તપાસ@મહેસાણાઃ આંબલિયાસણ રહેતા ઉદ્યોગપતિના એકના એક પુત્રનું અપહરણ
અટલ સમાચાર, આંબલિયાસણ (કિશોર ગુપ્તા)
મહેસાણા જિલ્લાના આંબલિયાસણના ઉદ્યોગપતિ પટેલ પરિવારના એકનાએક પુત્રનું અપહરણ થયું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. યુવાન વહેલી સવારે મોર્નિગ વોક જવા નીકળ્યો બાદ પરત ફર્યો ન હતો. જેથી પરિવારે વિવિધ જગ્યાએ તપાસ કર્યા બાદ વ્હાલસોયા દિકરાની ભાળ ન મળતા પોલીસને જાણ કરી છે. સમગ્ર મામલે લાંઘણજ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પટેલ પરિવારનો એકનોએક પુત્ર પંકજકુમાર ડાહ્યાભાઈ પટેલ વહેલી સવારે 5.30ના અરસામાં નિત્યક્રમ અનુસાર મોર્નિગ વોકમાં ગયો હતો. કલાકો વિતી ગયા છતાં પંકજ(ઉ.વ.આશરે 32) ઘેર ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. યુવકનો ફોન પણ ઘરે હોવાથી તેનો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો છે.
ભારે શોધખોળ બાદ પણ દિકરો નહિ મળતાં પિતા ડાહ્યાભાઈ પટેલે અપહરણ થયાની આશંકાને લઈ પોલીસને જાણ કરી છે. લાંઘણજ પોલીસ સ્ટેશનને જાણકારી મળતાં પીએસઆઈ સહિતની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પટેલ પંકજકુમાર ડાહ્યાભાઈ આંબલિયાસણના વેપારી અને એક સફળ ઉદ્યોગપતિ છે. આ પરિવાર મૂળ કચ્છના ઘડુલીનો રહેવાસી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આંબલીયાસણ ખાતે ધંધાર્થે સ્થાયી થયો છે. દુઃખી પટેલ પરિવારને પુત્ર હેમખેમ પરત ફરે તેવી આશા સાથે ચિંતા બની છે.