તપાસ@સાંતલપુર: એક જ દિવસે નર્મદા કેનાલના 8 લાખના દરવાજા ગાયબ, અજાણ્યાં ચોર વિરૂધ્ધ FIR
અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર
સાંતલપુર પંથકની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવા માટેના દરવાજાની એક દિવસે ચોરી થયા બાદ 10 દિવસે ફરીયાદ નોંધાઇ છે. પાણી બંધ કરવાના દરવાજાની ચોરી થતાં જવાબદારી નક્કી થયા બાદ કોન્ટ્રાક્ટરે અજાણ્યાં ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ ગત દિવસો કેનાલમાં પાણી બંધ કરવાના કુલ 8 ગેટ ચોરાયા હતા. જેથી કોન્ટ્રાક્ટરે અજાણ્યાં ઇસમો સામે 8,00,000ની ચોરીની ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલી કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવાના દરવાજાનો ચોરી કેસમાં ગુનો દાખલ થયો છે. નિગમ દ્રારા કેનાલમાં પાણી બંધ કરવા વધારના દરવાજા (સ્કો બ્લોક) અલગ-અલગ બનાવાયા હોઇ જે આઠ દરવાજા એક જ દિવસે ચોરી થયા હતા. જોકે તેની જાળવણી માટે ગેટમેન રાખવાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ સર્જન ઇન્ફ્રાસ્ટ્રાક્ચર નામની એજન્સી આપેલ હોઇ તેના મેનેજરે 10 દિવસે ફરીયાદ નોંધાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોરાયેલા એક દરવાજાનું વજન લગચગ 2 ટન જેટલું હોઇ શકે છે. આવા વજનદાર દરવાજા ચોરી થતાં જવાબદાર ગેટમેન સહિતના સામે પણ સવાલો ઘેરાયા છે. આ તરફ હવે દસેક દિવસની તપાસ બાદ પણ દરવાજા બાબતે નક્કર વિગતો નહીં મળતાં એજન્સીના મેનેજરે અજાણ્યાં ઇસમો કેનાલમાં પાણી બંધ કરવાના કુલ 8 ગેટ જેની કિ.રૂ.8,00,000ની ચોરીની ફરીયાદ નોધાવી છે. સમગ્ર મામલે સાંતલપુર પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 379, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.