કડી: બાળક મોહમાં પરિણીતાને સાસરીયાઓએ લાકડીથી માર મારી કાઢી મૂકી
અટલ સમાચાર,કડી
કડીના વાસણા ગામે પરિણીતાને સાસરિયા દ્વારા બાળક થતું ન હોવાનુ કહી લાકડીથી માર મારી ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. જેથી પરિણીતાએ ત્રાસ સહન ન થતાં સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કડી પોલીસમાંથી મળતી માહિતી અનુસાર દેત્રોજ તાલુકાના વાસણા ખાતે રહેતી પરિણીતા ગીતાબહેન ભરવાડને તેના પતિ ભરવાડ ભરતભાઈ કરશનભાઈ, સાસુ લક્ષ્મીબેન કરશનભાઈ તથા ભરવાડ શૈલેષભાઈ પોપટભાઈ સામે નોંધાવેલ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, પરિણીતાને સાસરીયાએ કહેલ કે તને બે વર્ષથી બાળકો થતા નથી. જેથી પતિ અને સાસુ દ્વારા છેલ્લા બે વર્ષથી શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતા રહેતા હતા.
છેલ્લા એક મહિનાથી પોતાને ઘરેથી કાઢી મૂકવામાં આવતી હતી. જ્યારબાદ ફરીવાર સાસરીયાઓએ લાકડીથી મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ગભરાઈ ગયેલી પરિણીતાએ આ અંગે કડી પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આઈપીસી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.