કાંકરેજ: સાકરીયા ગામમાં પાણી માટે અભિશાપ કે સરકારની લાલિયાવાડી
અટલ સમાચાર,કાંકરેજ
બનાસકાંઠા જીલ્લાના અનેક ગામો પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ સહિતની પ્રાથમિક સગવડો સામે ઝઝુમી રહયા છે. સરકારની ડીજીટલ વાતો વચ્ચે કાંકરેજનું સાકરીયા ગામ પાણીના અભાવ વચ્ચે કારમી મુશ્કેલી સહન કરી રહયુ છે. જેમાં અભિશાપ કરતા સરકારની લાલિયાવાડી વધુ હોવાનું ગ્રામજનો માની રહયા છે.
કાંકરેજ તાલુકાના અને પાટણ જીલ્લાની હદને અડીને આવેલા સાકરીયા ગામમાં પાણી માટે અનેક યોજનાઓમાં કરોડો રૂપિયા ખર્ચ કરી દેવામાં આવ્યા છે. જોકે, છેલ્લા કેટલાંક સમયથી પીવાના પાણીની સમસ્યાનો અંત આવતો નથી. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો સરકાર આટલા બધા પૈસા ખર્ચતી હોય તો ઉકેલ આવવાને બદલે રૂપીયા જાય છે ક્યા ? ગામમાં ટાંકા છે, પણ પાણી નથી. અવાડા પણ કોરા ધાકોર પડી રહ્યા છે. પાઇપો જોવા મળે છે પણ બોરવેલ નથી. પાણી ભરવા માટે ટાંકા ઉપર લગાવેલી પાઇપ તુટેલી હાલતમાં હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યુ હતુ.
ગ્રામજનોએ ઘટસ્ફોટ કર્યો હતો કે, પ્રાથમિક શાળામા પાણીની સગવડ ન હોવાથી બાળકો ઘરે આવે ત્યારે જ પાણી પી શકે છે. ચૂંટણી સમય આવે છે ત્યારે નેતાઓ વચનો અને વાયદોઓનો વેપાર કરી મતો રળી જતા હોવાથી ગ્રામજનો આ વખતે લાલઘુમ બન્યા છે.