કાંકરેજ: ખોડલા ગામે કેનાલનું નાળુ તૂટતા ખેડૂતો અટવાયા
અટલ સમાચાર,કાંકરેજ
બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 2500 વસ્તી ધરાવતું ખોડલા ગામની નજીક સુજલામ સુફલામ કેનાલ આવેલી છે. પરંતુ કેનાલ થી ખેડૂતોને લાભ થવાના બદલે નુકશાન થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. સુજલામ સુફલામ કેનાલ ઉપર ખોડલા થી રામપુરાને જસાલી જવાનો મુખ્ય જુનો માર્ગ આવેલો છે. આ માર્ગ ઉપર ખોડલા ગામના ખેડૂતોની હજારો વીઘા જમીનો આવેલી છે.
કેનાલ નીકળવાથી આની ઉપર અવર-જવર માટે મોટો પુલ સાથેનું નાળુ બનાવવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસાની અંદર 2004ના રોજ વરસાદના કારણે નાળું તૂટીને ભોય ભેગું થઈ ગયું હતું. નાળુ તૂટી જવાથી ગ્રામજનોએ વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવાથી વહીવટીતંત્રએ ફરીથી સુજલામ સુફલામ કેનાલનું નાળુ 2004થી ત્રણ વખત બનાવવામાં આવ્યું હતુ. જોકે ત્યાર બાદ પણ ત્રણ વખત આ નાળુ ચોમાસામાં તૂટી પ્રથમ વરસાદે ભોય ભેગું થઈ જાય છે.
2004થી ગ્રામજનોની વારંવાર લેખિત મૌખિક રજૂઆતો અને ગ્રામસભાઓ થી માડીને ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો કરવા છતાં સરકાર અને નર્મદા ખાતાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ખોડલાના ગ્રામજનોનું કોઈ સાંભળતુ નથી. ખોડલા ગામના ખેડૂતોની હજારો વીઘા જમીનનો ખોડલા રામપુરા થી જસાલી જતા કાચા જુના માર્ગ ઉપર આવેલ છે. નાળું તુટેલ પડયું હોવાથી આ વિસ્તારના ખેડૂતોને પોતાના બોર ઉપર કઈ રીતે જવું અને આ જુનો માર્ગ હોવાથી ગામડાઓના લોકોને અવર-જવરમાં ખુબજ તકલીફો પડે છે.
ખોડલાના ગ્રામજનોના જણાવ્યાનુસાર લાખો રૂપિયાના ખર્ચ કરીને બનતા નાળામાં સરકારના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાળુ પોલુ-પોલુ બનાવી બીલો ઉપાડીને હલકી ગુણવત્તાનું નાળું બનાવી ચાલ્યા જાય છે. વર્ષોથી નાળુ બનાવવાની રજૂઆતને ધ્યાને ના લેતા હવે ગ્રામજનો નાછૂટકે ગાંધીચિધ્યા માર્ગ ઉપવાસ ઉપર ઊતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઇ છે.