ખેડબ્રહ્મા: એક જ દિવસમાં 2 આશાસ્પદ યુવકોની લાશ મળતા ચકચાર
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં હમણાથી બિનવારસી લાશો મળવાનો સીલસીલો યથાવત છે. ખેડબ્રહ્માના બે અલગ-અલગ વિસ્તારમાંથી બે યુવકોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બે લાશો મળી હોવાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા લોકોના ટોળેટોળાં ખેડબ્રહ્મા સિવીલ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા.
મંગળવારે મોડી સાંજે ખેડબ્રહ્માના શિતોલ પાસે નવાનાના ગામના સત્યમ મહેશભાઈ ખોખરીયાની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ ઝાડ પર લટકી હોવાના સમાચાર પોલીસને મળતા,પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવીલ ખસેડી હતી.
લાશ મળવાની બીજી ઘટનામાં ખેડબ્રહ્માના ખેરોજ ગામના સંદેશ અકાભાઈ પરમારની લાશ સાબરમતી નદીમાંથી મળી હોવાનું સામે આવ્યુ છે. સાબરમતીના પુલ નીચે લાશ હોવાની માહિતિ મળતા ખેરોજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને સિવિલ હોસ્પિટલમાં પી.એમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.