બલિહારી@ખેડબ્રહ્મા: પાણી નહિ તો વોટ નહિ કહેવા મજબૂર થવું પડ્યું !
અટલ સમાચાર, ખેડબ્રહ્મા
લોકસભા ચુંટણીની વ્યસ્તતા વચ્ચે ખેડબ્રહ્મા તાલુકાના મંજીપુરા સહીત પાંચ ગામના નાગરીકો પાણી મુદ્દે આક્રમક થયા છે. એક થઈને ચુંટણીના દિવસે મતદાન નહી કરવાનો નિર્ણય લેતા ભાજપ-કોંગ્રેસને પગ તળે રેલો આવ્યો છે. જયારે પાણી માટે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ગામલોકો સાથે ખેડવા ડેમ તોડવા તૈયાર હોવાની વાત કરતાં ગરમાવો વધી ગયો છે.મંજીપુરા ગામ લોકોના કહેવા મુજબ ખેડવા ડેમનુ પાણી આઠથી નવ ગામના 15 જેટલા તળાવોને મળતું નથી. આથી સ્થાનિક આગેવાનો દ્વારા મંજીપુરા ગામે એકઠા થઈ પાણી નહી મળે તો ચુંટણી બહીષ્કાર કરીશુ તેમજ ડેમ તોડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
સમગ્ર વાતની જાણ રાજકીય આગેવાનોને થતાં દોડધામ મચી ગઇ છે. ચુંટણી પૂર્ણ થયા પછી મંજીપુરા સહીતના ગામોને જો પાણી નહી મળે તો ગામ લોકોની સાથે રહી ખેડવા ડેમ તોડવા માટે તૈયાર હોવાની વાત કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલે કરતાં ખળભળાટ મચી ગયો છે.આ તરફ ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યુ હતુ કે, ડેમમાંથી મટોડા અને આગીયા ગામને પાણી આપવા માટે તાલુકાના મંજીપુરા, ડોડીવાડા, ચિત્રોડી, બહેડીયા, પાંણાઈ ગામના ખેતરો તેમજ રસ્તા પરથી કેનાલ બનાવવાનુ કામ ચાલુ છે. જોકે ગામલોકોની ચિમકી બાદ રાજકારણ ખેલાતાં લોકસભા ચૂંટણી પહેલાં ગરમાવો આવ્યો છે.