અટલ સમાચાર, ગિરીશ જોષી
તાજેતરની વિધાનસભા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઘોસણાપત્રો બાદ ખેડૂતોની દેવા માફી સહિતના કેટલાક કારણોસર કોંગ્રેસને જીત મળી છે. સરકાર બનવાની સાથે જ કોંગ્રેસે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દેવા માફી મુદ્દે પ્રક્રિયા તેજ કરી છે. કોંગ્રેસના દેવા માફીના નિયમો સામે ભાજપની ટિપ્પણીઓ બાદ આમ જનતામાં પણ સમર્થન અને વિરોધના શૂર ઉઠ્યા છે. શું સરકારી રાહતો અને યોજનાઓથી સમાજમાં વિચારોનું વિભાજન વધી રહ્યું છે? આવો જાણીએ…
બન્ને પાર્ટીના મુદ્દા દેશભરમાં ફેલાઈ જતા આમ જનતામાં પણ તેની અસર ઉભી થઈ રહી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકારમાં રહી અગાઉ દેવા માફી કર્યા બાદ ફરી એકવાર રાજ્ય સરકારમાં આ વલણ અપનાવ્યું છે. ખેડૂતોની દેવા માફીને લઈ દેશભરના નાગરિકોમાં સમર્થન અને વિરોધ એમ બે ભાગમાં ટિપ્પણીઓ, મંતવ્યો અને દલીલો વધી રહી છે. ખેડૂત સમાજ અને તેેને લાગતા-વળગતા સિવાયના દેવા માફીનો વિરોધ કરી રહ્યા છે. આ માટે સરકાર ઉપર બોજ પડવાનો અને કરદાતાઓના હિતોના મુદ્દા રજૂ કરી રહ્યા છે.
આ તરફ તબક્કાવાર દેવાના બોજતળે ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ અને આત્મહત્યામાં વધારાે થતા દેવા માફીને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. દેશભરના વિવિધ રાજ્યોમાં બદલાતી હવામાનની પરિસ્થિતિ, ટેકાના ભાવ, ઉત્પાદનમાં ઘટાડો, ખેતસામગ્રીમાં મોંઘવારી, વિજળી-પાણી સહિતના કારણોસર ખેડૂતોની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ માટે દેશ આઝાદ થયો ત્યારથી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હોવાથી ખેડૂતોની આત્મહત્યા ચિંતાજનક બની રહી છે.
અનામત, નોટબંધી, દેવામાફી મોટા વર્ગને અસર કરી રહ્યા છે
દેશમાં વર્ષોથી અનામતને લઈ નાગરિકોમાં બે ભાગ છે. આ બાદ તાજેતરની નોટબંધીને કારણે પણ ગરીબો અને અમીરોને થયેલી અસરથી બે વિરોધાભાસી વિચારો સામે આવ્યા હતા. હવે દેવા માફીથી ખેડૂતઆલમના વિરોધીઓ વિવિધ બહાના તળે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.