ખેરાલુ: બાનાખત બાદ જમીન અન્યને વેચી ૮ર લાખની ઠગાઇ આચરી
અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જીલ્લાના ખેરાલુ ગામે જમીન વેચાણ માટે બાનાખત કરવામાં આવ્યો હતો. જેથી ખરીદનાર વ્યકિતએ ચેક અને રોકડા મળી કુલ ૮ર લાખ ચુકવી દીધા હતા. આ પછી જમીન ધારકે અન્ય એક પેઢીને જમીન વેચી મારતા બાનાખત કરાવનાર સાથે ઠગાઇ થયાનો કેસ સામે આવ્યો છે. ફરીયાદીની રજૂઆત આધારે ખેરાલુ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સતલાસણાના રહીશ જોષી પ્રકાશ ભોગીલાલે ખેરાલુ ગામની સર્વે નં.૧૯૭૭ પૈકી એક તથા ૧૯૭૭ પૈકી ૩ જેનો નવો સર્વે નં.૫૨૫૧ અને ખાતા નં.૩૫૭૦ વાળી જમીન ખેરાલુના ૭ ઇસમો પાસેથી ખરીદવા મથામણ કરી હતી. જેમાં બાનાખત કરી જમીનના રોકડા અને ચેક મળી કુલ ૮ર લાખ ચુકવી ખાતે કરાવવાની તજવીજ હાથ ધરી હતી. આ તરફ ઇસમો કુંભાર ગોવિંદભાઇ સોમાભાઇ, કુંભાર રસીકભાઇ સોમાભાઇ, કુંભાર બચુભાઇ સોમાભાઇ, કુંભાર મનીષભાઇ સોમાભાઇ, કુંભાર ધૂળીબેન સોમાભાઇ, કુંભાર રમેશભાઇ મફતલાલ અને કુંભાર સુરેશભાઇ મફતલાલ સહિતનાએ કે.જી પ્રોજેક્ટ નામની પેઢીના ભાગીદારોને રૂ.૭૧,૨૫,૦૦૦ માં દસ્તાવેજ કરી દીધો હતો. આથી બાનાખત બાદ જમીનની રકમ ૮ર લાખ ચુકવેલ પ્રકાશભાઇએ સાતેય ઇસમો સામે પૂર્વ યોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને ઠગાઇ કરી જાનથી મારી નાખવાની ધમકી દીધાનો ગુનો નોંધાવવા ખેરાલુ પોલીસ મથકે ફરીયાદ આપી છે. જેથી પોલીસે ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૫૨, ૫૦૬ (૨),૫૦૪, ૫૦૭, ૧૧૪, ૧૨૦ બી મુજબ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.