જાણોઃ બિનખેતીના કેસો ઝૂંટવાઈ જતા ઉ.ગુ.ની તાલુકા પંચાયતોને હળવો ફટકો
અટલ સમાચાર, મહેસાણા
રાજ્ય સરકારે તાજેતરમાં બિનખેતીના કેસો તાલુકા-જિલ્લા પંચાયત પાસેથી લઈ કલેક્ટર કચેરીને તબદીલ કર્યા છે. જેનાથી પંચાયતોમાં કામગીરીમાં રાહત મળવા સાથે કેટલીક અસર પણ થઈ છે. તાલુકા પંચાયતને કોઈ ફંડ મળતું ન હતું પરંતુ વૃક્ષ વાવેતરની ડિપોઝીટનું વ્યાજ મળતું બંધ થઈ ગયું છે. ડચકા ખાતી તાલુકા પંચાયતોને હળવો ફટકો પડ્યાનું માનવામાં આવી રહ્યું છે.
આમ તો બિનખેતીના કેસના નિકાલ દરમિયાન આવેલ વેરા સંબંધિત આવકો રાજ્ય સરકારમાં જમા થતી હતી. જેથી તાલુકા પંચાયતોને કેસ નિકાલમાં વેરા આવક મળતી ન હતી. જોકે બિનખેતીના દરેક કેસમાં વૃક્ષ વાવેતરની જોગવાઈ મામલે ડિપોઝીટ મળતી હતી. આ ડિપોઝીટ રકમ કેટલાક વર્ષ જમા રહેતા તાલુકા પંચાયતોને વ્યાજબી રાહત મળતી હતી. બિનખેતીના કેસોનું કામ નિકળી જતા કામગીરીમાં રાહત મળી પરંતુ આવકનો 2 થી 5 ટકા હિસ્સો ગુમાવવાનો વારો આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર ગજુરાતની અનેક તાલુકા પંચાયતોના સત્તાધીશોએ અત્યાર સુધી ડીપોઝીટ રકમ પણ જમા લીધી નથી. જેથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ કરવાની જવાબદારી સંભાળતા અધિકારી-પદાધિકારીઓએ જાણે-અજાણ્યે નુકશાન પહોંચાડ્યાનું માનવામાં આવી રહ્યું છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની 42થી વધુ તાલુકા પંચાયતો પૈકી અનેકને સ્વભંડોળનુ તળીયુ દેખાઈ રહ્યું છે. આ સાથે કેટલીક તાલુકા પંચાયતો આવક-ફંડને લઈ જાણે ડચકાં ખાઈ રહી છે.