જાણો@તાપી: એજન્સી, કચેરી અને આચાર્યે ધો.૧૦ની કિશોરીઓને આખું વર્ષ યુનિફોર્મ વગર રાખી

 
Tapi
મદદનીશ કમિશ્નર કચેરીએ અવારનવાર શાળામાં વિઝીટ કરવાની હોય છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

તાપી જિલ્લામાં અવારનવાર ભ્રષ્ટાચારના કિસ્સા આવતાં રહે પરંતુ છોકરીઓ(વિદ્યાર્થીઓ)ના કપડામાં પણ ભ્રષ્ટાચાર થાય એ માનવતાના મર્યાદા ભૂલ્યા બરોબર છે. જી હા, રાજ્ય સરકાર આદીજાતી વિકાસ વિભાગની યોજનાઓ ખૂબ સારી રીતે ચલાવે છે પરંતુ ધરાતલ ઉપર પરિસ્થિતિ ચોંકાવનારી આવી છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી મદદનીશ કમિશ્નર કચેરી, ઠેકેદાર એજન્સી અને શાળાના આચાર્યની મિલિભગતથી વિદ્યાર્થીઓ સાથે કપડાંમાં દગો થયો છે. સરકારે આપેલ ગ્રાન્ટ થકી ધો. ૧૦ના વિદ્યાર્થીઓને આપવાના યુનિફોર્મ સહિત બુટ-મોજા આ ત્રણેયની મિલીભગતથી મળ્યા જ નથી. આટલું જ નહિ ધો. ૯ના વિદ્યાર્થીઓને પણ એક જ જોડી આપ્યા હોવાનો વધુ એક ખુલાસો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાંચો આ કૌભાંડીઓના કાળા કારનામાનો સ્પેશ્યલ રિપોર્ટ.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આદર્શ નિવાસી શાળા ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા આવેલી છે. ત્રણેય શાળામાં ધો. ૯ અને ૧૦ના કિશોર તેમજ કિશોરીઓ અભ્યાસ કરે છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ મદદ કરે છે. જોકે અહિંના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2024-25 દરમ્યાન યુનિફોર્મ આપ્યા વગર ખર્ચો પાડી મહા કૌભાંડ થયાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ધો.૯ ના વિદ્યાર્થીઓને એકાદ જોડી યુનિફોર્મ આપ્યા જ્યારે એકાદ બે જોડી ના આપ્યા. આ તરફ ધો. ૧૦ના વિદ્યાર્થીઓને તો એકપણ જોડી યુનિફોર્મ અને બુટ-મોજા આપ્યાં વગર આખું વર્ષ પૂરૂં પાડી દીધું. હવે કૌભાંડ ક્યારે અને કોણે કેવીરીતે કર્યું તે જાણશો તો ચોંકી જશો. આદીજાતી વિકાસ વિભાગે ગ્રાન્ટ આપી પરંતુ તાપી સ્થિત મદદનીશ કમિશ્નર કચેરી, ઠેકેદાર એજન્સી અને ત્રણેય શાળાના આચાર્યના સેટિંગ્સને કારણે ધો.૧૦ ની છોકરીઓ સરકારી કપડાં વગર રહી. નીચેના ફકરામાં ખળભળાટ વાંચો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અન્ય શાળાઓમાં મોડે મોડે પણ યુનિફોર્મ આપ્યા હતા પરંતુ ઉચ્છલ અને કુકરમુંડા શાળાના આચાર્ય કિશોરભાઇ સોંદરવા અને નિઝર શાળાના આચાર્ય મનિષભાઇએ ધો.૧૦ની દિકરીઓને સરકારી કપડાં વગરની રાખી તેમાં મદદનીશ કમિશ્નર કચેરીની પણ જવાબદારી બને છે. મદદનીશ કમિશ્નર કચેરીએ અવારનવાર શાળામાં વિઝીટ કરવાની હોય છે, વિદ્યાર્થીઓને સમયસર યુનિફોર્મ મળી જાય તેની ખાત્રી પણ મદદનીશ કમિશ્નર કચેરીએ કરવાની હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં મટીરીયલ જે તે સ્થળે ઠેકેદાર નહિ પહોંચાડ્યું તે બાબતે તાલુકા વિકાસ અધિકારી સહિતના કચેરીના અનેક કર્મચારી સામે ગુનો દાખલ થયો છે. તો અહિં સવાલ થાય કે, મદદનીશ કમિશ્નર કચેરીએ દિકરીઓના હિતમાં કેમ યુનિફોર્મની બાબતે બેદરકારી દાખવી અથવા કાળજી ના લીધી ??