મહેસાણાઃ ક્ષાત્રત્વને જીવંત રાખવા ક્ષત્રિય યુવક સંઘની મિટીંગ મળી, શિક્ષણ, રોજગારીને મહત્વ
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા ખાતે પાલાવાસણા ચોકડી નજીક કનકદુર્ગા ફાયનાન્સમાં શનિવારના રોજ ક્ષત્રિય યુવક સંઘની મિટીંગ મળી હતી. જેમાં મહેસાણા પ્રાન્તના રાજપૂત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષાત્રત્વને જીવંત રાખવા દિકરા-દિકરીઓનો ભેદ ભુલી દરેકક્ષેત્રમાં આગળ વધારવાની ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી.
ક્ષત્રિય યુવક સંઘ ક્ષાત્રત્વ, ધર્મ, સંસ્કારનું મહત્વપૂર્ણ સિંચન કરી રહી છે. જેની સાથે આગામી સમયમાં શિક્ષણ, રોજગારી અને વેપાર જેવા મુદ્દાઓનું સંકલન કરી તેના ઉપર ભાર મુકી તે તરફ કાર્ય કરવા ઉપર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ અંગે તમામ ઉપસ્થિત રાજપૂત સમાજના આગેવાનો અને યુવાઓએ સહમતી દર્શાવી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સંસ્થાનું મુખ્ય કાર્ય સંસ્કાર અને સિંચનું છે. જેની સાથે સાથે સમાજની અન્ય સંસ્થાઓનો પણ સહયોગ મેળવી સમયાનુસાર સમાજને જરૂરી કાર્યો તરફ ધ્યાન આપી તે અંગેના નિર્ણયો લેવાશે.
આ કાર્યને આગળ ધપાવવા હાજર રહેલ સમાજબંધુઓએ એક ગામ દત્તક લઈ તેમાં રાજપૂત સમાજને પ્રેરણા આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં દરેકે હર્ષભેર પ્રાન્તમાં આવેલ ગામોને દત્તક લીધા હતા. આ સાથે રાજપૂત સમાજના લોકોને મળી ઉપર લાવવાનો પ્રયાસ કરાશે.
રાજપૂત સમાજને આગળ લાવવા હરહંમેશ પ્રયત્નશીલ રહેતા કરણસિંહ કમાણા, વિક્રમસિંહ કમાણા, દિલીપસિંહ જાડેજા (મહામંત્રીઃ મહે.જિલ્લા યુવા રાજપૂત સમાજ), વનરાજસિંહ ભેસાણા, જયદેવસિંહ ચાવડા (વકીલ-સામાજીક અગ્રણી), રાજેન્દ્રસિંહ ભેસાણા, ઈન્દ્રજીતસિંહ જેતલવાસણા, અને મહેસાણા, પાટણ જિલ્લાના યુવાઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છેકે, ક્ષત્રિય યુવક સંઘ રાજપૂત સમાજના દિકરા-દિકરીઓના સંસ્કાર અને સિંચનનું મુખ્ય કાર્ય કરે છે.
રાજપૂત સમાજના આગેવાનો અને યુવાઓ રાત્રે મિટીંગ બાદ ભોજન લઈ છૂટા પડ્યા હતા.