આગામી લોકસભા ચુંટણીમાં વિકાસ મોડલ નહી ચાલે? ધાર્મિક મુદ્દાે હુકમનો એક્કો
અટલ સમાચાર, ગિરીશ જોષી
ગત લોકસભા ચુંટણીના મુદ્દાઓ યાદ કરીએ તો ભાજપે ગુજરાત વિકાસ મોડેલ દેશભરમાં લાગુ કરીશું કહીને પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસે પોતે કરેલા વિકાસ સાથે મોદીની નીતિઓ ગરીબ વિરોધી કહીને કર્યો હતો. આ સાથે અન્ય પાર્ટીઓએ સ્થાનિક મુદ્દાઓ ઉપાડ્યા હતા. હવે આગામી લોકસભા ચુંટણીમાં તમામ મુદ્દાઓ ઉપર ધાર્મિક મુદ્દો ભારે પડી રહ્યો છે.
સસ્તી યાત્રા સિદ્ધપુરની કહેવતની જેમ આગામી લોકસભા ચુંટણી માટે ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓને દમદાર ચુંટણી મુદ્દા શોધ્યા જડતા નથી. આથી સરળતાથી ચુંટણીની નૈયા પાર કરવાની વેતરણમાં વિકાસ, નીતિગત નિર્ણયો, ગરીબી, બેકારી સહિતના મુદ્દાઓ વજન પાડી શકશે કે કેમ તેને લઈ મંથન કરતા નકારાત્મક વલણ બન્યાનું સામે આવ્યું છે. આથી હવે ભાજપે પણ ગુજરાત વિકાસ મોડલને બદલે ધાર્મિક મુદ્દાઓનો સહારો લેવાનું શરુ કર્યું છે. કેન્દ્ર અને વિવિધરાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ધાર્મિકતાના મુદ્દા ઉપર જબરજસ્ત ચર્ચા છેડાઈ ચુકી છે. ભાજપના નેતાઓ સાથે સંકળાયેલી સંસથાઓ પણ ધાર્મિક લાગણી અને આસ્થાનો વિષય આગળ કરી રહી છે. આથી હવે અન્ય પાર્ટીઓ પણ ધર્મનો મુદ્દો જોરશોરથી ઉપાડવાની તૈયારીઓ કરી શકે છે. આગામી દિવસોએ રામ મંદિર મુદ્દે વાતાવરણ ગરમાવવાનું હોવાથી કોંગ્રેસને પણ લોકસભા ચુંટણી માટે ભાજપને ટક્કર આપવા રામ મંદિરનો મુદ્દાે કઈ રીતે લેવો અથવા તેને સમકક્ષ અન્ય ધાર્મિક મુદ્દો ઉપાડવાની ફરજ પડી શકે છે.
લોકસભા 2019ની ચુંટણી જીતવી કઠીન હોવાનું દરેક પાર્ટીને લાગી રહ્યું છે. આથી જનતા જનાર્દન સાથે જવા કોઈ એક જ ઠોસ મુદ્દો ઝડપી અસર પાડી શકે તે માટેનું વાતાવરણ ઉભું કરવાની મથામણ થઈ રહી છે. આવી સ્થિતિમાં ક્ષેત્રીય પાર્ટીઓને રાષ્ટ્રીય પાર્ટીઓના મુદ્દાઓના મુદ્દા ભારે પડે તો નવાઈ નહી.