લોકસભા ચૂંટણી: આચાર સંહિતના ભંગની ફરિયાદનો 100 મિનિટમાં આવશે નિકાલ

અટલ સમાચાર,ડેસ્ક લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પહેલી વખત ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકોની ફરિયાદોનો 100 મિનિટમાં નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સી-વીજી (સિટીજન્સ વીજીલન્સ) નામથી પોર્ટલ આધારિત નવો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના માધ્યમથી નાગરિકો પોતાની સતર્કતાથી મતદાનના દિવસે ફોટો કે વીડિયો દ્વારા સીધી ચૂંટણી
 
લોકસભા ચૂંટણી: આચાર સંહિતના ભંગની ફરિયાદનો 100 મિનિટમાં આવશે નિકાલ

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પહેલી વખત ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકોની ફરિયાદોનો 100 મિનિટમાં નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સી-વીજી (સિટીજન્સ વીજીલન્સ) નામથી પોર્ટલ આધારિત નવો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના માધ્યમથી નાગરિકો પોતાની સતર્કતાથી મતદાનના દિવસે ફોટો કે વીડિયો દ્વારા સીધી ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી શકશે. જેમાં મતદાન મથકની આજુબાજુમાં મતદાનના દિવસે કોઈ ગેરકાયદે કામગીરી થતી હોય તો જાગૃત નાગરિક મોબાઇલ મારફતે ફોટો અથવા વીડિયો મોકલી શકશે. જે સીધો જ ચૂંટણી પંચની ઓફિસે જશે. ત્યાંથી જે તે વિસ્તારના કલેક્ટરને મોકલી અપાશે અને કલેક્ટર તુરંત કાર્યવાહી હાથ ધરશે.
કોઇપણ વ્યકિત ચૂંટણીના દિવસે મતદાન મથક આસપાસ મુસાફરોની કે પ્રતિબંધિત વસ્તુની ગેરકાયદે હેરાફેરી થતી હોય, મતદારોને પ્રલોભન અપાતું હોય, મતદાન કરતા અટકાવાતા હોય વગેરે પ્રકારની આચાર સંહિતા ભંગની ફરિયાદો બાબતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. ફોટો અને વીડિયોના આધારે ચૂંટણી પંચને જયાંની ફરિયાદ છે તે સ્થળની માહિતી મળી જશે.
નાગરિકે ફોટો કે વિડીયો અપલોડ કર્યા પછી ૧૦૦ મિનિટમાં તેનો નિકાલ કરવાની જોગવાઇ છે. ફરિયાદ કરનારનું નામ ખાનગી રાખવામાં આવશે. ફરિયાદથી નિકાલ સુધી ચૂંટણી પંચની દેખરેખ રહેશે. કોઇ નાગરિક માત્ર તંત્રને હેરાન કરવાના ઇરાદાથી ખોટી ફરિયાદ કરશે તો તેની ગંભીર નોંધ લેવાશે.