ગેરરીતિ@સુઇગામ: કેનાલની સંરક્ષિત દિવાલમાં સિમેન્ટના બદલે માટીનો ઘટસ્ફોટ
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
સુઇગામ પંથકમાં આવેલી નર્મદા કેનાલોમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ ઘર કરી ગયો હોવાનું સામે આવ્યુ છે. દુધવા-2 કેનાલની સંરક્ષિત દિવાલમાં સિમેન્ટના બદલે માટી વાપરી હોવાનો ઘટસ્ફોટ સ્થાનિક લોકોએ કરતા ચકચાર મચી ગઇ છે. દિવાલ ઉપર હાથ ફેરવતા માટી અને રેતીનો પાવડર ઉખડી રહ્યો છે. જેનાથી સરેરાશ 3 કિલોમીટરની દિવાલ જોખમકારક સાબિત થઇ છે.
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકામાં દુધવા-2 નર્મદા કેનાલ જર્જરીત હોવા સામે સંરક્ષિત દિવાલ બનાવવામાં લાખોની રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યુ છે. વેજપુર બ્રાન્ચ કેનાલમાંથી નિકળતી મોરવાડા ડિસ્ટ્રી કેનાલમાંથી દુધવા 2 કેનાલ ઉપર સંરક્ષિત દીવાલ એકાદ વર્ષ અગાઉ બનાવવામાં આવેલી છે. સંરક્ષિત દિવાલની લંબાઇ સરેરાશ 2.5 કિલોમીટરની હોવાથી મોટાભાગનું કૃષિ વિસ્તાર કવર થાય છે.
સ્થાનિક લોકો સ્વખર્ચે જાતમજુરી કરી કેનાલની અંદરના ઝાડી-ઝાંખરા દૂર કરી પાણીનો પ્રવાહ વેગવંતો કરવા મથી રહ્યા છે. આ દરમ્યાન દુધવા, લિબુંણી, મસાલી, માધપુરા સહિતના છેવાડાના ગામના ખેડૂતો કેનાલ પાસેથી સંરક્ષિત દિવાલની સ્થિતિ જોઇ હેબતાઇ ગયા હતા. ખેડુતોએ દિવાલ ઉપર મજબૂત રીતે હાથ ફેરવતા નવરી રેતી અને માટી ખરતી હોવાનું પકડી લીધુ હતુ.
સમગ્ર મામલે સ્થાનિકોએ વિડીયો તૈયાર કરી નર્મદા કેનાલ નેટવર્કના સત્તાધીશોને ચેલેન્જ આપી ભ્રષ્ટાચારનો ભોરીંગ ખુલ્લો પાડયો છે. સંરક્ષિત દિવાલમાં 90 ટકા માટી જયારે 10 ટકા સિમેન્ટનો ઉપયોગ થયો હોવાનું સ્થાનિક લોકો માની રહયા છે. આવી સ્થિતિમાં લાખોના ખર્ચે તૈયાર કરેલી સંરક્ષિત દિવાલ જોખમકારક હોવા સામે નાણાંકીય ઉચાપતના સવાલો ઉભા થયા છે.
જરૂર લાગશે તો નવિન દિવાલ તૈયાર કરાવીશું
સમગ્ર મામલે નર્મદા નેટવર્કના ઇજનેર તડવીએ જણાવ્યુ હતુ કે, સંરક્ષિત દિવાલ બાબતે ચકાસણી કરાવી લઇએ. જો જરૂર લાગશે તો ઠેકેદાર મારફત નવિન દિવાલ તૈયાર કરાવીશુ.