જાહેરનામું@પાટણ: રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જીલ્લા સહિત રાજ્યભરમાં કોરોનાનો કાળો કહેર યથાવત રહેતાં સરકાર દ્રારા ગઇકાલે મહત્વનો નિર્ણય કરાયો હતો. જેને લઇ હવે પાટણ જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યુ છે. જે મુજબ જાહેરમાં રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમ, સત્કાર સમારંભ કે અન્ય મેળાવડા યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહિ તેવું નક્કી કરાયુ છે. જાહેરનામનો ઉલ્લંઘન કરનારા સામે પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાત સરકારના પ્રતિબંધોનું પાટણ જિલ્લામાં અસરકારક અમલ કરવું જરૂરી જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રિતસિંઘ ગુલાટીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 144થી મળેલ અધિકાર અન્વયે જાહેરનામું બહાર પાડી હુકમો કર્યા છે. જે અંતર્ગત તા.14 એપ્રિલથી અમલમાં આવે એ રીતે પાટણ જિલ્લામાં લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં પચાસથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહિ. જે જગ્યાએ રાત્રિ કર્ફ્ર્યુ અમલમાં છે ત્યાં કર્ફ્ર્યુના સમયની અવધિ દરમ્યાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ. મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ કે ઉત્તરક્રિયામાં પચાસથી વધારે વ્યક્તિ એકત્ર થઈ શકશે નહિ. જાહેરમાં રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહિ. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટંબ સાથે ઉજવવાના રહેશે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા મુજબ જિલ્લાની સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે. આ સાથે ઓલ્ટરનેટ દિવસે કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિસ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહિ. પાટણ જિલ્લાના તમામ ધાર્મિક સ્થાનો તા.30 એપ્રિલ,2021 સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા-વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો-પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે. શ્રદ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવા માટે વિનંતી કરવામાં આવે છે.
નોંધનિય છે કે, આ જાહેરનામાનો અમલ પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.13 થી 30 એપ્રિલ, 2021 સુધી બને દિવસો દરમ્યાન કરવાનો રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ધ એપેડિમિક ડિસિઝ એક્ટ, 1897 અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસિઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020, ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 51 થી 60ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે જરૂરી પગલાં લેવા લેખિત ફરિયાદ નોંધાવવા માટે જિલ્લામાં ફરજ પરના હાજર એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ તેમજ અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તથા પંચાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.