સભા@રાધનપુર: ચેરમેનોની નિયુક્તિ વચ્ચે અનેક બાબતે પ્રમુખની સત્તા વધારી
અટલ સમાચાર, રાધનપુર (પ્રિયકાન્ત શ્રીમાળી)
રાધનપુર નગરપાલિકામાં આજે ચીફ ઓફીસરની ગેરહાજરી વચ્ચે સામાન્ય સભા મળી હતી. એજન્ડા મુજબ અનેક વિષયો ઉપર નિર્ણય કરતાં દરમ્યાન વિવિધ કમિટીના ચેરમેનો પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને કારોબારી ચેરમેન ગણેશજી ઠાકોર જ્યારે ટાઉન પ્લાનિંગની જવાબદારી સવિતાબેન શ્રીમાળીને આપી છે. જ્યારે સેનેટેશન શાખાના બહુ ગાજેલા વિવાદ વચ્ચે ફરીથી હરદાસ આયરને ચેરમેન નિયુક્ત કર્યા છે. સભા દરમ્યાન સત્તાધિન કોંગી નગરસેવકોએ અનેક બાબતે પ્રમુખની સત્તા વધારવા મથામણ કરી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાની રાધનપુર નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પુર્ણ થયા બાદ આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં ચીફ ઓફીસરની ગેરહાજરી વચ્ચે સોયેબખાન સહિતના કર્મચારીઓએ ફરજ નિભાવી હતી. સભામાં વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી સાધનો ખરીદવા, જૂના સાધનો રીપેર કરવા, ભાડાની વસૂલાત, કન્સલ્ટન્ટની કામગીરી અંગે સમીક્ષા તેમજ વિવિધ કમિટીના સભ્યો અને ચેરમેન પસંદ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન વિરોધ પક્ષના ભાજપી નગરસેવકોએ અનેક મુદ્દે સત્તાધિશો સામે સવાલો કર્યા હતા.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાલિકામાં સત્તાધિન કોંગી નગરસેવકોએ સર્વાનુમતે વિવિધ કમિટીના ચેરમેન જાહેર કર્યા હતા. જેમાં કારોબારી સમિતીના ગણેશજી ઠાકોર, બાંધકામ સમિતીના રસુલખાન બલોચ, ટાઉન પ્લાનિંગના સવિતાબેન શ્રીમાળી, પાણીપુરવઠાના મંજુલાબેન ગોકલાણી, લાઇટશાખાના લાસુબેન મકવાણા, સેનેટેશનના હરદાસ આયર અને શહેરી આવાસના કલીબેન ઠાકોરને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કમિટી ચેરમેન જાહેર કર્યા દરમ્યાન પાલિકા દ્રારા થતી ખરીદીઓ અને ભાડું વસુલાત બાબતે તેમજ કોઇપણ કર્મચારીને શિક્ષાત્મક નોટીસ આપતાં પહેલા પ્રમુખની મંજૂરી લેવા બાબતે નગરસેવકોએ સર્વાનુમતે સત્તા આપી હતી.