ઘટસ્ફોટ@મહેસાણાઃ ઓવરબ્રીજની અવદશામાં રેલવેની જ બેદરકારી
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણાના રામોસણા સર્કલથી માનવઆશ્રમને જોડતા વિસનગર લીંકરોડ ઉપરનો આંબેડકર બ્રીજ અત્યંત જર્જરીત હાલતમાં છે. સમગ્ર મામલે મહેસાણા માર્ગ-મકાન વિભાગના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, તુટી ગયેલ સ્લેબવાળો ભાગ રેલવે દ્વારા બનાવાયેલો છે. આથી વાહનચાલકો સામે મહેસાણા રેલવેની ભયંકર બેદરકારી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મહેસાણા શહેરના રામોસણા નજીક વિસનગર જતા માર્ગ પર કેટલાક વર્ષો અગાઉ ઓવરબ્રીજ બનાવાયેલો છે. બ્રીજ નીચેથી રેલવે લાઈન પસાર થાય છે. જે-તે વખતે રેલવે અને મહેસાણા માર્ગ મકાને ભાગીદારીમાં ઓવરબ્રીજ તૈયાર કર્યો હતો. જેમાં વચ્ચેનો ભાગ રેલવે દ્વારા અને સામસામેના છેડાવાળો ભાગ માર્ગ-મકાને બનાવ્યો હતો.
જોકે, ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદ બાદ ઓવરબ્રીજનો વચ્ચેનો ભાગ વધુ જર્જરિત થઈ રહ્યો છે. બ્રીજ ઉપર સળીયા દેખાઈ રહ્યા હોઈ વાહનચાલકોને અકસ્માતની અને બ્રીજ ઢળી પડવાની બીક પેઠી છે. જોકે, સમગ્ર મામલે મહેસાણા રેલવેના પેટનું પાણી હલતું ન હોઈ બેદરકારી વધુ સ્પષ્ટ બની છે.